ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે.
ગાયક કલાકાર વિજય સુવાળા સત્તાવાર ભાજપમાં જોડાયા
સી.આર. પાટીલે ખેસ પહેરાવ્યો, દિગ્ગજો હાજર રહ્યા
વિજય સુવાળાએ ઘરવાપસી કરીઃ સી.આર. પાટીલ
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણેે નારાજ થઇને AAP સાથે છેડો આપ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે સોમવારે ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા છે. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
તેઓ બીજી પાર્ટીમાં જોડાયા પહેલા પણ મને મળ્યા હતા: સી.આર. પાટીલ
વિજય સુવાળા ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, વિજય સુવાળા ભાજપમાં પ્રવેશ કર્યો છે, તેમના કહેવા મુજબ જ ઘરવાપસીનો કાર્યક્રમ છે, તેઓ પોતાના ઘરે પાછા આવ્યા છે, તેઓ બીજી પાર્ટીમાં જોડાયા પહેલા પણ મને મળ્યા હતા, પરંતુ કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે તેમાં તેઓ કદાચ આવી ગયા અને મારો આ રસ્તો નથી, તે જે કલાકાર તરીકે લોકો તેમને ચાહે છે, તેમનામાં જે વિશ્વાસ મૂકે છે, તેમનો વિશ્વાસ ખૂટે છે તેવું લાગ્યું અને તેમણે પાર્ટીમાં પરત ફરવાનો પ્રસ્તાવ મૂક્યો અને અમે આવકાર્યા છે.
સી.આર.પાટીલે કહ્યું કે, આજે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા 150 લોકોની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. તેમનો ઇરાદો તો 10-15 હજાર લોકોને ભેગા કરવાનો ઇરાદો હતો. સાધુ-સંતો અને સમાજના સૌ આગેવાનોને લઇને તેઓ ભાજપમાં જોડાયા છે. તેમને આવકારું છું. તેમની ભાવનાને તેમના શબ્દોમાં જ વર્ણન કર્યું છે. તેમનું પ્રજાની સેવામાં ખુબ મોટું યોગદાન મળશે. તેમને હું ભાજપમાં આવકારું છું.
પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છેઃ વિજય સુવાળા
આજ રોજ સૌ પ્રથમ એક ઉદાહરણ આપુ છું. પોતાના ઘરે પાછો આવ્યો છું. રાતનો ભૂલેલો સવારે ઘરે પાછો આવ્યો છું. આજનો માહોલ મારી જિંદગી માટે ખુબ અમુલ્ય છે. મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ. તન મન ધનથી ભાજપની સેવા કરીશ.
હું મિત્રતાના હિસેબે તે પક્ષમાં જોડાયો હતોઃ વિજય સુવાળા
વિજય સુવાળાએ કહ્યું કે, ભાજપ વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે, હું આપ પાર્ટી જોઈને ન હોતો ગયો પરંતુ મેં મિત્રતાના હિસાબે તે પક્ષ જોઇન કર્યો હતો અને મેં મિત્રતા નિભાવી છે. પરંતુ મને થયું કે ભાજપ તરફથી સેવા કરવાનો મોકો વધુ સારો મળશે કારણ કે ભાજપ સત્તામાં છે. પેઇજ પ્રમુખ સુધી ભાજપ મજબુત છે, તેમની વિચારધારા સાથે. સી.આર. પાટીલ આટલી ઉંમરે પણ એક દિવસ બેઠા નથી, તો મારી આટલી ઉંમરે હું કેમ બેસી રહું. બાદમાં વિજય સુવાળાએ અગાઉ ગાયેલુ ગીત ફરી દોહરાવ્યું હતું... મોજ મોજ મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે...
મારી ઉંમર નાની છે, રાતનો ભૂલ્યો સવારે ઘરે આવ્યો છું: વિજય સુવાળા
VTV સાથેની વાતચીતમાં પૂર્વ આપ નેતા વિજય સુવાળાએ કમલમ જતા પહેલા કહ્યું કે, દરેક રાજકીય પક્ષની નીતિ અલગ હોય છે, પરંતુ કુટુંબનો કોઈ મોભી એક પક્ષમાં હોય તો દિકરા અને પરિવારે પણ એજ પાર્ટીમાં રહેવું જોઈએ. ત્યારે મારી ઉંમર નાની છે, રાતનો ભૂલેલો દિવસે ઘરે આવ્યો. સુવાળાએ કહ્યું કે, મેં કોઈ ઉતાવળમાં કાર્ય નથી કર્યું, સભાનતામાં રહીને મેં આત્મનિર્ણયો લીધા છે, મેં જે સમયે જે નિર્ણય લીધો તે રાઇટ જ હશે.
આજે મોટું શક્તિ પ્રદર્શન થઈ શકતું હતું પરંતુ કોરોનાને લઇને નહીં થઇ શકેઃ સુવાળા
સુવાળાએ કહ્યું કે, મેં રાજીનામાની જાહેરાત કરી ત્યારે મારા 2000 સમર્થકોએ પણ મારી સાથે રાજીનામા આપ્યા હતા. હાલ અમારુ 2000 યુથનું આ ગ્રુપ સેવાકીય કાર્યો કરે છે. કોરોના ગાઇડલાઇનને લઇને 150થી વધુ લોકોને લઇ નથી લઇ જવાના નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન થઇ શકતું હતું. મારી સાથે 5000 લોકસેવકો અને કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાશે.
વિજય સુવાળાએ આપ્યું હતું AAPમાંથી રાજીનામુ
AAPમાંથી રાજીનામા મુદ્દે વિજય સુવાળાએ VTV સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવા પક્ષને ખૂબ જ સફળતા મળી છે. હું AAPમાંથી રાજીનામું આપુ છું. હું શાંતિથી મારા કાર્ય કરવાનો છું. લોકોએ મને ગીતોમાં પ્રેમ આપ્યો છે. કોઇપણ પક્ષ મહેનત કરશે તો સફળતા મળશે. મને કોઇ રાજનૈતિક દબાણ નથી. ગુજરાતના દરેક પક્ષ મને પ્રમે આપશે.