ગુજરાતમાં કાયદાથી મોટા નેતા જોવા મળી રહ્યા છે. આપણા દેશમાં સૌથી ઉપર તો સંવિધાન અને કાયદાને માનવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં કાયદાથી પણ ઉપર ભાજપના નેતાઓ પહોંચી ગયા છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શનિવારે સાબરકાંઠામાં કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા. સરકારના નિયમોને જૂતા નિચે કચડી નાખ્યા. જમાવડો તો ભેગો કર્યો જ પરંતુ માસ્ક વગર હજારો લોકો સાથે સેલ્ફીઓ પણ પડાવી હતી.
સરકારથી ઉપર છે સી.આર.પાટીલ!
કાયદાથી ઉપર છે સી.આર.પાટીલ!
ભાજપના નેતાઓ માટે નથી લાગુ પડતો કાયદો!
સાબરકાંઠામાં સી.આર.પાટીલે કાયદાના લીરા ઉડાવ્યા હતા. મોટી સંખ્યામાં નેતાઓનો જમાવડો થયો હતો. જેમાં બહેનો સાથે તેઓ માસ્ક વગર ફોટા પડાવતા નજરે પડ્યા હતા. જાણે રાજ્યમાં કોરોના જેવી કોઈ બિમારી જ ન હોય. જાણે રાજ્યમાં માસ્ક ફરજિયાતનો કોઈ કાયદો જ ન હોય. પરંતુ અહીં બધા ચૂપ છે. કારણ કે, ભાજપના નેતાઓ માટે કાયદો લાગુ નથી પડતો!
સાબરકાંઠામાં 1000ની આસપાસ લોકો ખચોખચ ભર્યા હતા
સાબરકાંઠામાં સી.આર.પાટીલના સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તો સરકારી ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા જ પરંતુ ટાઉનહોલમાં તો કાયદાના ધજાગરા કરી નાખ્યા હતા. ટાઉનહોલની કેપેસિટી 700 લોકોની છે. તેની સામે 1000ની આસપાસ લોકો ખચોખચ ભર્યા હતા. જગ્યા ન મળતા લોકો નીચે જમીન પર બેસી ગયા હતા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે, 50થી 100 લોકોની મર્યાદા છે. પરંતુ અહીં તો સી.આર.પાટીલના કાર્યક્રમ માટે કોઈ મર્યાદા નથી. હજારો લોકો ભેગા કરવાનો પીળો પાસ છે, કોરોના ફેલાવવાનો પીળો પાસ છે, રેલીઓ યોજવાનો પીળો પાસ છે અને માસ્ક ન પહેરવાનો પીળો પાસ છે.
રોજના સી.આર.પાટીલ કાર્યકર્તાઓ સાથે 3 હજાર ફોટો પડાવે છે
જોકે તમે અહીં એ નહીં જાણતા હોય કે, સી.આર.પાટીલ આટલા ફોટા કેમ પડાવી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે, સી.આર.પાટીલ પોતાની ડિજિટલ ટીમના કાફલાને સાથે લઈને નિકળ્યા હતા. જે ટીમ સ્થળ પર લોકોને સી.આર.પાટીલ સાથેનો ફોટો ફ્રેમમાં સજાવીને પરત આપે છે. એક માહિતી પ્રમાણે તો રોજ સી.આર.પાટીલ કાર્યકર્તાઓ સાથે 3 હજાર ફોટો પડાવે છે. તમામ લોકોને ફોટો પણ આપવામાં આવે છે. જોકે આ બધું તો ભાજપના રાજમાં જ શક્ય છે.
સરકાર ભાજપના નેતાઓને 1-1 હજાર રૂપિયા દંડ ફટકારશે?
પરંતુ અહીં સવાલ એ થાય છે કે, શું સરકાર ભાજપના આ બધા જ નેતાઓને 1-1 હજાર રૂપિયા દંડ ફટકારશે? સામાજિક અંતરના ધજાગરા ઉડાવનારને જેલમાં નાખશે? શું સી.આર.પાટીલ કાયદાથી ઉપર છે? શું સી.આર.પાટીલ સરકારથી પણ ઉપર છે? સાબરકાંઠાના આ દ્રશ્યો પરથી તો એવું જ લાગી રહ્યું છે. પરંતુ હાલ કહેવું પણ કોને. સરકારથી માંડી ન્યાય પાલીકા પણ મૌન છે તો પછી આમ જનતાનું શું ચાલવાનું.