ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને લઇને રાજ્યમાં એક તરફ લોકડાઉનના પગલે રોજગાર-ધંધા ઠપ થઇને પડ્યા છે ત્યારે બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીનો પારો વધવાને અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
રાજ્યમાં મોસમ બદલી શકે છે મિજાજ
48 કલાકમાં વધી શકે છે ગરમી
રાજ્યના કેટલાક જિલ્લામાં પડી શકે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે.રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો ઉંચે જઇ શકે છે. તો કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીયે તો રાજ્યમાં આગામી 48 કલાકમાં મોસમ બદલી મિજાજ બદલી શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીનો પારો ઉંચે જઇ શકે છે.
અમદાવાદીઓ અસહ્ય ગરમીનો સામનો કરવા તૈયાર રહે
આ સાથે જ ગરમ પવન ફૂંકાતા રાજ્યના તાપમાનમાં વધારો થઇ શકે છે. તો અમદાવાદીઓ અસહ્ય ગરમીનો સામનો કરવા તૈયાર રહે. કારણ કે આગામી 48 કલાકમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચી શકે છે.
ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવી શકે પલટો
તો આ તરફ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. વાદળ છાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગત મોડી સાંજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ
વાવાઝોડાને પગલે લાખણીના નોખા ગામે ઘરની છત ઉડી
વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારોમા વીજળી ડુલ થઇ હતી. તો ભારે પવનથી લાખણીના નોખા ગામે એક ઘરની છત ઉડી હતી. મકાનની છત ઉડી જતાં ઘરમા રાખેલો માસ-સામાન પલળતા નુકસાન થયું હતું તો થરા ખાતે જૈન પાંજરાપોળની છત ધરાશાયી થતા 5 પશુના મોત થયાં હતા.
પાલનપુરમાં ભારે વાવાઝોડા સાથે વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલે કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભારે વાવાઝોડા સાથે વરસાદે વિનાશ વેર્યો છે. શહેરના જોરાવર પેલેસમાં ટાવર ધાશાય થયો છે. જોરાવર પેલસમાં BSNL નો ટાવર ધરાશાય થઇ હેડ પોસ્ટ ઓફિસ પર પડ્યો. જેના કારણે મોબાઇલ ટાવરને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે.
કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં ભારે નુકશાન
બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદના પગલે ભારે નુકસાન થયું છે. જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડા સાથે વરસાદને લઇને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે. જેમાં અનેક જગ્યાં ઝાડ ધરાશાયી થયા છે, જ્યારે અનેક જગ્યા વીજ પોલ ધરાશાયી થયા છે. જ્યારે જિલ્લાઓના ગામડાઓમાં ઘરોમાં નુકસાન સાથે કમોસમી વરસાદના પગલે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતાને લઇને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.