ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાંક વિસ્તારોમાં મહામારીના કહેરને ધ્યાનમાં લઇ કર્ફ્યું લાદવામાં આવ્યો હતો. ત્યારે આજથી રાજયના આ ત્રણ શહેરમાંથી કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે. આજરોજ સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યું હટાવાયો છે, જો કે આ ત્રણેય શહેરના કર્ફ્યુમુક્ત વિસ્તારોમાં લોકડાઉનનો અમલ યથાવત્ રહેશે.
રાજ્યના 3 શહેરોમાંથી કર્ફ્યૂ હટાવાયો, લોકડાઉનનો અમલ રહેશે યથાવત
અમદાવાદના 10 વિસ્તાર કર્ફ્યૂ મુક્ત, શહેરના કોટ વિસ્તારના લોકોને રાહત
રાજકોટ અને સુરત શહેરમાં આજથી કર્ફ્યું પૂર્ણ
આપને જણાવી દઈએ કે,કોરોનાને કંટ્રોલ કરવા માટે રાજ્યના આ ત્રણેય શહેરના કેટલાંક વિસ્તારોમાં કર્ફ્યૂની જાહેરાત કરાઈ હતી. જેનો સમયગાળો આજે સવારે 6 વાગે પૂર્ણ થયો છે. જેમાં અમદાવાદના 10 વિસ્તાર કર્ફ્યૂ મુક્ત કરાયા છે. આમ કર્ફ્યૂ હટાવાતા શહેરના કોટ વિસ્તારના લોકોને રાહત. મળી છે. આ સાથે જ 7 ક્લસ્ટર ક્વોરોન્ટાઇન ખોલતા 10 હજાર લોકોને રાહત થશે. શહેરમાં નવા 152 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 1652 થઇ છે. જ્યારે શહેરમાં કોરોનાને લીધે 69 લોકોના મોત અને 113 દર્દી સ્વસ્થ થયા છે.
આ તરફ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર કર્ફ્યૂ મુક્ત જાહેર કરાયો છે. કોરોના સંક્રમણ અટકાવવા કર્ફ્યૂ લગાવાયો હતો.. રાજકોટમાં અત્યાર સુધીમાં 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
સુરત શહેરમાં આજથી કર્ફ્યૂ પૂર્ણ
સુરત શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યું લગાવામાં આવ્યો હતો ત્યાં આજથી પૂર્ણ કરાયો છે. શહેરના 4 પોલીસ સ્ટેશન અને એક ચોકી વિસ્તારનો સમાવેશ થાય છે. લાલગેટ, સલાબતપુરા, મહિધરપુરા, અઠવાલઇન્સથી કર્ફ્યું હટશે. કમરું નગર પોલીસ ચોકી વિસ્તારમાંથી પણ કર્ફ્યું દૂર કરાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને કર્ફ્યું લાગૂ કરાયું હતું.