ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 5 દિવસથી કોરોનાના 800થી વધુ કેસ સમગ્ર રાજ્યમાં નોંધાઇ રહ્યા છે. તો આજે પ્રથમ વખત 902 કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાને લઇને ચિંતા વધી છે.
રાજકોટ અને જામનગરની મુલાકાતે પહોંચ્યા જયંતિ રવિ
કોરોનાના કેસને લઇને કરી ચર્ચા
આ તમામ બાબત વચ્ચે રાજ્યના આરોગ્ય સચિવ આજે સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બાદ રાજકોટમાં કોરોનાના વધુ કેસ વધી રહ્યા છે.
રાજકોટ અને જામનગરમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત
આપને જણાવી દઇએ કે, રાજકોટમાં અત્યાર સુધીમાં 689 કેસ નોંધાયા છે અને 16 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તો જામનગરમાં અત્યાર સુધીમાં 362 કેસ નોંધાયા છે અને 7 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં છે.
જામનગરમાં આગામી સમયમાં આયુર્વેદ અને હોમીયોપેથી દ્વારા કરાશે સારવાર
જામનગરમાં કોરોનાને નાથવા માટે શું ખૂટે છે તેમજ અપૂરતી મશીનરી આપૂર્તિ કરાવવા માટે જામગનર ખાતે આજે આરોગ્ય અગ્ર સચિવની મૂલાકાત દરમિયાન સ્થાનિક તંત્ર સાથે મીટીંગ યોજી હતી. જામનગરમાં આયુર્વેદ પદ્ધતિથી શરુ કરવામાં આવેલ ધન્વતરી રથને આગામી સમયમાં રાજ્ય ભરમાં લઇ જવામાં આવશે એમ રવીએ ઉમેર્યું હતું. જીજી હોસ્પીટલની રીસર્ચની ટીમને પણ પ્રોત્સાહન આપવામાં આવે આ ઉપરાંત આગામી સમયમાં આયુર્વેદ અને હોમીયોપથીથી સારવાર કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટમાં જયંતિ રવિએ સંબોધી પત્રકાર પરિષદ
રાજકોટમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી છે. તેઓએ જામનગર અને રાજકોટની મુલાકાત લીધી છે અને જણાવ્યુ હતું કે રાજકોટની સ્થિતિ અંગે તમામ વિગતો મેળવીશું. આખી ટીમ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. બીજા જિલ્લાની સરખામણીમાં રાજકોટમાં કેસ વધ્યા નથી. અનલોકની સ્થિતિમાં કેસોની સંખ્યા વધતી હોય છે અને કેસો ન વધે તે માટે 3 તબક્કામાં સ્ટ્રેટજી બનાવી છે.
આજે ગુજરાતમાં પ્રથમ વખત નોંધાયા 900થી વધુ કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 42,808 પર પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,806 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2057 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
પ્રથમ વખત નોંધાયા 900ને પાર નવા કેસ
મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતમાં પ્રથમ વખત 900થી વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંકટ ઘેરાયું છે.