દેશમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિની વાત કરીએ તો લૉકડાઉનમાં પણ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 30 એપ્રિલ સુધી કન્ફર્મ કેસ 33 હજારની આસપાસ હતા. જ્યારે મેના શરૂઆતના અઠવાડિયામાં જ કેસમાં 23000 નવા કેસ સામે આવ્યા છે. 30 એપ્રિલ સુધી મોતની સંખ્યા 1075 હતી જે વધીને 1886 પહોંચી છે.
દેશમાં કન્ફર્મ કેસની સંખ્યા 56342 પહોંચી
45 દિવસના લૉકડાઉન પર ભારે પડ્યા મે મહિનાના 7 દિવસ
કુલ મોત 1886 લોકોના મોત, 16000થી વધુ લોકો થયા સાજા
રીકવરી રેટ અને ડેથ રેટમાં થઈ રહ્યો છે સતત વધારો
ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલે 1075 લોકો મૃત્યુ પામ્યા હતા, જે સંખ્યા હવે વધીને 1886 થઈ છે. એટલે કે, છેલ્લા 7 દિવસમાં 800 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત છે કે લોકો કોરોનાથી ઝડપથી સાજા થઈ રહ્યા છે. 30 એપ્રિલ સુધીમાં લગભગ 8 હજાર લોકો સાજા થયા હતા, જે અત્યાર સુધીમાં 16 હજારથી વધુ થઈ ચૂક્યા છે. એટલે કે, સાજા થનારા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સવારે જાહેર કર્યા છે આ આંકડા
સ્વાસ્થ્ય વિભાગની તરફથી શુક્રવારે એટલે કે આજે સવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કુલ કન્ફર્મ કેસ 56342 છે અને સાથે જ 1886 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 37916 છે. તો 16539 લોકો સારવાર બાદ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3390 કેસ સામે આવ્યા છે. તો 24 કલાકમાં જ 103 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યો છે આંકડો
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1300થી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી ફક્ત મુંબઈમાં 680 નવા કેસ નોંધાયા છે. કુલ સંક્રમણનો આંક અહીં 17974 સુધી પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં 694 લોકોના મોત થયા છે. જ્યારે મુંબઈમાં 437 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દિલ્હીમાં આ રીતે વધી રહ્યા છે કેસ
દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 5980 થઈ છે. અહીં 24 કલાકમાં 448 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં દિલ્હીમાં બીમાર લોકોનો આંકડો ચોંકાવનારો છે અને વધુ હેરાન કરનારી વાત એ છે કે દિલ્હીમાં જ ફક્ત 6 દિવસમાં 2000 લોકો નવા સંક્રમિત થયા છે.