કોરોના સામેની લડાઇમાં રાજ્ય સરકારની રણનીતિ સામે સવાલ ઉઠ્યાં છે. કોરોના મહામારી વચ્ચે પણ ઓછા ટેસ્ટ કરવાના સરકારના નિર્ણય સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.આ અંગે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવ્યો છે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલના એસો.નો રાજ્ય સરકારને પત્ર
''અગાઉ 6 કલાકે મંજૂરી મળતી હતી હવે 3 દિવસે કેમ મળે છે?''
પત્રમાં કોરોના સામેની લડાઇની રણનીતિ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે.પત્રમાં સવાલ કરાયો છે કે ટેસ્ટ મર્યાદિત કરવાનો નિર્ણય કોનો છે. અગાઉ 6 કલાકે મંજૂરી મળતી હતી હવે 3 દિવસે કેમ મળે છે?. અને ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ માટે સરકારની મંજૂરી જરૂરી કેમ છે?. હોસ્પિટલમાં દર્દીને વધારે રોકાવું પડે છે જેનું નુકસાન કોણ ઉઠાવશ?. પત્રમાં હોસ્પિટલોએ રાજ્ય સરકારની આકરી ટીકા કરતા કહ્યું કે વિશ્વમાં ટેસ્ટિંગ વધી રહ્યું છે જ્યારે ગુજરાતમાં ટેસ્ટિંગ મર્યાદિત કેમ કરાઇ રહ્યું છે? ત્યારે ટેસ્ટિંગ માટે સરકારની મંજૂરી પર ખાનગી હોસ્પિટલો લાલઘૂમ થઇ છે.
પત્રમાં સાથે એ પણ કહ્યું છે કે કોરોનાના સેમ્પલ ટેસ્ટ મર્યાદિત કરવાથી રાજ્યમાં જોખમ વધશે.ટેસ્ટિંગ માટે સરકારના નિયંત્રણથી મોટુ જોખમ ઉભુ થઇ શકે છે. અને ખાનગી લેબોરેટરીઓ પર ટેસ્ટ માટે મંજૂરીના નિયમથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થઇ શકે છે. જેથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનથી કોરોનાનો ટેસ્ટ થવો જોઇએ તેવી માગ કરાઇ છે.તો એ પણ સવાલ કરાયો છે કે ગુજરાતમાં ટેસ્ટિંગ માટેની કીટ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.છતાં ટેસ્ટ ઓછા કરવાનો નિર્ણય કેમ લેવાયો છે.જો વધુ ટેસ્ટ કરવામાં આવશે તો વધુમાં વધુ કોરોના સંક્રમિતોનો ઉપચાર કરી શકાશે અને વધુ ટેસ્ટથી લોકો વચ્ચે ફરતા સુપર સ્પ્રડર્સને અટકાવી શકાશે..જેથી કોરોનાથી થતા મૃત્યુદરમાં પણ ઘટાડો થશે.ટેસ્ટિંગ રેટમાં વધારો કરી પ્રતિદિન 10 હજાર ટેસ્ટ કરવાની માગ કરાઇ છે.