માવા-મસાલાના રસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પાન-મસાલા માથે નવી ગાઈડલાઈન આવી છે. જેને કારણે હવે પાન-મસાલા મળશે તો ખરા પણ માત્ર તેના પાર્સલ જ મળશે.
પાન ગલ્લા માટે નવી ગાઇડલાઇન
પાનની દુકાનમાંથી પાર્સલ મળશે
ગ્રાહકોની ભીડ ઘટાડવા લેવાયો નિર્ણય
રાજ્યભરના પાનગલ્લા ખૂલ્લા રહે અને વેપારી વેપાર કરી શકે માટે એક નવી ગાઇડલાઇન જાહેર કરાઇ છે. હવેથી આપને રાજ્યભરના પાનગલ્લા પરથી પાર્સલ પેક મળશે. દુકાન પર થતી ભીડને ટાળવા માટે પાર્સલ પેક વેચવાનો નિર્ણય કરાયો છે અને દુકાન પર ભીડ ન થવા દેવા માટે પણ સૂચન અપાયું છે.
એસોસિએશને જણાવ્યું હતું કે, આજથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં આવશે નહીં. ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. જેને કારણે હવે ભીડ કે સોશિયલ ડિસ્ટન્સિગનો પ્રશ્ન પણ હલ થઈ જશે.
મહત્વનું છે કે, અમદાવાદ અને સુરતમાં જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ ફટકારવામાં આવે છે. તો પાનના ગલ્લા પાસે પણ જો કોઇ ગ્રાહક થૂંકશે તો દુકાનદારને 10000નો દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાનની દુકાનો પર તવાઇ બોલાવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોના ધંધાને અસર પડી છે. અને માત્ર 20થી 25 ટકા ધંધો થઇ રહ્યો છે. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને પગલે આજે ગુજરાતપાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.