અમદાવાદમાં હવે હેર સલૂન બંધ કરવા માટે અમદાવાદ મનપા દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
અમદાવાદ હેર સલૂન બંધ કરવા આદેશ
AMCની સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી
કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદમાં હેર સલૂન બંધ કરવા આદેશ
અમદાવાદમાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે જેને પગલે ચાની કિતલીઓ અને પાનના ગલ્લા બંધ કરાવ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેર સલૂન બંધ કરાવાના આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા હેર સલૂન બંધ રાખવા આદેશ અપાયો છે.
અમદાવાદમાં ભીડ ભેગી થતા હેર સલૂન શોપ બંધ કરાવવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણ સામે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે.સોલિડવેસ્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતુ કે, સામાજિક અંતર ના જળવાતા બંધ કરાવાયા છે. બ્યુટી પાર્લર, હેર સલૂનમાં ભારે ભીડ જોવા મળી હતી. એક વીક માટે સલૂન બંધ રાખવા સૂચના આપી છે. 1200 હેર સલૂન અને 300 બ્યુટી પાર્લર બંધ કરાવ્યા છે
છેલ્લા 24 કલાકમાં 157 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 157 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6328 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 598 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,24,539 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1690 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 413 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 573 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 608 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે.
જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...