સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવ્યુ છે. જેને પગલે નોકરી ધંધા બંધ છે તેથી ગુજરાતમાં આજથી મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે અનાજની ગુણવત્તા સાવ રદ્દી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઢોર પણ ન ખાય તેવું અનાજ સરકાર દ્વા્રા લોકોને મફત અપાઈ રહ્યુ છે. આ અનાજ ખાઈને લોકો તંદુરસ્ત રહેશે કે વધુ બીમાર પડશે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે.
ગુજરાતમાં આજથી ફ્રી રાશનકીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે
ઢોર પણ ન ખાય તેવું અનાજ અપાઈ રહ્યુ હોવાના આક્ષેપો
લોકડાઉનના દિવસો પ્રજા અને પ્રશાસન બંને માટે કપરા
શું છે આક્ષેપ
રાજ્યમા આજે સસ્તા અનાજ વિતરણ શરૂ થઈ ગયુ છે ત્યારે અનાજ ક્વોલિટી જોઇ કાર્ડધારકો રોષે ભરાયા છે. ઢોર પણ ન ખાય તેવા અનાજનુ વિતરણ કરાઇ રહ્યુ છે. દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળ્યા હતા જ્યારે સડી ગયેલા ઘઉ અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યુ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
કોરોના વાયરસની ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં કોરોનાથી ચપેટમાં અત્યારસુધીમાં 74 લોકો આવ્યા છે. જેમાંથી 6 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સારા સમાચાર એ પણ છેકે 6 દર્દીઓ સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે. દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. તેવામાં આજથી એટલેકે 1લી એપ્રિલથી રાજ્યભરમાં સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ 4 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.
આજથી ગરીબોને મફતમાં અનાજ કીટનું વિતરણ
રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
ગામડામાં શું છે સ્થિતિ
આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં 4 લોકોની અને શહેરી ક્ષેત્રોમાં 3 લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.