શહેરમાં હવે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. સોમવારે અનેક વિસ્તારમાં તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર ઝાપટું તૂટી પડ્યું હતું. આ વખતે દેશભરમાં ચોમાસું રાબેતા મુજબ હોઈ અમદાવાદમાં પણ લોકો ભારે ગરમીથી ત્રસ્ત થઈને ચાકડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદની ઋતુમાં કોરોના કાબૂમાં આવશે કે કેમ તે અંગે કોઈ પાસે કોઈ જ માહિતી નથી, પરંતુ ભારે ગરમીના મે મહિનામાં કોરોના બેકાબૂ બન્યો હતો, કેમ કે મે મહિનામાં દર ત્રણ કલાકે બે અમદાવાદીનો કોરોના ભોગ લીધો હતો.
કોરોના દર ત્રણ કલાકે બે અમદાવાદીઓનો ભોગ લઈ રહ્યો છે
એકલાં મે મહિનામાં 700ના મોત
ભારે ગરમી વચ્ચે પણ શહેરમાં દર કલાકે 12થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા
અમદાવાદમાં કોરોનાનો કાળો કેર યથાવત્ જળવાઈ રહ્યો છે. હવે તો અનલોક-1 દરમિયાન શહેરભરમાં જાહેરમાં માસ્ક ન પહેરતા લોકો તેમજ સોશિયલ ડિસ્ટસ્ટિંગની અવહેલના કરનારા લોકોથી કોરોનાના કેસ સતત વધતા જ જવાના છે તેમાં કોઈ મીનમેખ છે અને સોમવારના જૂન મહિનાના પ્રથમ દિવસે શહેરમાં એકસાથે 314 નવા કેસ નોંધાયા હતા તેમજ 22 દર્દી મૃત્યુ પામ્યા હતા. લોકડાઉન હળવું કરાતા કેસની સંખ્યામાં વધારો થયો હતો.
મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં હતાં
બીજી તરફ મે મહિનામાં કોરોનાનો આતંક જળવાઈ રહ્યો હતો. મે મહિનામાં કોરોનાથી 693 દર્દીનાં મૃત્યુ થયાં હતાં એટલે કે દર ત્રણ કલાકે બે દર્દી મરણને શરણ થયા હતા. આમ મૃત્યુના મામલે મે મહિનો તો માર્ચ અને એપ્રિલ મહિના કરતાં પણ વધુ બિહામણો પુરવાર થયો હતો.
દર કલાકે બારથી વધુ લોકોને કોરોનાનો ચેપ
જ્યારે મે મહિનામાં કોરોનાના સત્તાવાર 9154 કેસ મ્યુનિ. તંત્રના ચોપડે નોંધાતાં કેસના મામલે પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. શહેરમાં દર કલાકે બારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દર કલાકે કેસનો આંકડો કોઈ પણ સમજદાર નાગરિકના હોશ ગાયબ કરી દે તેવો જ છે.