ગુજરાતમાં કોરોનાવાયરસનું તાંડવ શરૂ થઈ ગયુ છે. સુરતમાં કોરોના પોઝિટિવ એક વૃદ્ધ અને વડોદરામાં એક શંકાસ્પદ વૃદ્ધાનું મોત થતાં સમગ્ર ગુજરાતનું તંત્ર દોડતું થઈ ગયુ છે. ગુજરાતમાં હજુ આ આંકડો વધી શકે છે. માત્ર ચાર જ દિવસમાં કોરોનાએ ગુજરાતમાં પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધુ છે. ચાર દિવસમાં 18 કેસ અને 1 કન્ફોર્મ તથા 1 શંકાસ્પદ મોતને પગલે કોરોના વાયરસની ગંભીરતા દેખાઈ રહી છે.
સુરતમાં 69 વર્ષના એક કોરનાગ્રસ્ત વ્યક્તિનું મોત થયુ છે
શંકાસ્પદ 65 વર્ષિય મહિલાનું પણ મોત થતા તંત્રમાં ઘભરાહટ
ગુજરાતમાં હજુ આંક ઉંચો જઈ શકે છે
ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સામે આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં 69 વર્ષનાં વૃદ્ધનું કોરોનામાં મોત થયુ છે. અઠવાલાઇન્સનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી . વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે મૃત્યુ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વડોદરામાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત
વડોદરામાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. 65 વર્ષિય મહિલા સારવાર દરમિયાન મોતને ભેટી છે. મહિલામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. ત્યારે મહિલાના મોત બાદ આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે મહિલાનો કોરોનાનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. મહિલા ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનથી પીડિત હોવાનો પણ દાવો કરાયો છે. ત્યારે ખરેખર મહિલાનું મોત કોરોનાને કારણે થયું કે પછી અન્ય કોઇ કારણથી એ તો પીએમ રીપોર્ટ બાદ જ જાણી શકાશે.
ગુજરાત સરકાર દ્વારા નવા આંકડા જાહેર કરાયા
રાજ્યમાં કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કુલ 7 કેસ, સુરતમાં કુલ 2 કેસ, વડોદરામાં 3 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, રાજકોટમાં 1 અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ છે.
જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો
અત્યારસુધી 650 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન રખાયા છે. જેમાં ગાંધીનગર 223, સુરતમાં 590 વ્યક્તિઓ હમ ક્વોરન્ટાઈન છે. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન 300 દર્દીઓ છે. રાજ્યમાં કુલ 6 હજાર 92 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે.