ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યામાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને આંકડો સતત વધી રહ્યો છે, જોકે સામે રાહતની વાત છે કે લોકો જલ્દી સાજા પણ થઈ રહ્યા છે.
ભારતમાં કોરોનાએ સ્પીડ વધારી
ફરી વધ્યા કોરોના કેસ
3 લાખની નજીક પહોંચી રહ્યો છે દૈનિક કેસનો આંકડો
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દિવસને દિવસે ઘાતક બની રહી છે. ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે ઓમિક્રૉન વેરિયન્ટના કેસની સંખ્યા પણ વધી રહી છે.
કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 304 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઇકાલે ભારતમાં 2,68,833 કેસ સામે આવ્યા હતા.
દેશમાં શું છે કોરોના વાયરસની સ્થિતિ?
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખ 50થી વધુ છે જે ધીમે ધીમે હજુ પણ વધી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 86 હજાર દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. રાહતની બાબત કહી શકાય કે એક જ દિવસમાં એક લાખ 38 હજાર દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે.
ભારતમાં ઓમિક્રૉન વેરિયન્ટ કેસની સંખ્યા સંખ્યા 7 હજાર 743 પર પહોંચી છે જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીના છે.
ચેન્નાઈમાં લોકડાઉન
કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે તમિલનાડુ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દર રવિવારે ચેન્નાઈમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. ભારતમાં ત્રીજી લહેરમાં અને વર્ષ 2022માં પહેલીવાર કોઈ જગ્યાએ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણય મહિનાના અંત સુધી લાગુ રહેશે જેમાં દર રવિવારે તાળાબંધી કરવામાં આવશે.