પંજાબ, હરિયાણામાં વેક્સિન નહીં લેનાર કર્મચારીઓ માટે પગાર નહીં
ભારતમાં જે રીતે ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે તેને જોતા કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા લાગી રહી છે. દેશમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યુની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રએ રાજ્યોને રાત્રિ કર્ફ્યુ લાદવા અને કન્ટેન્ટ ઝોન બનાવવા કડક સૂચનાઓ જારી કરી છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને આપી બીજી ચેતવણી, લાગુ પાડો નાઈટ કર્ફ્યુ
કેન્દ્ર દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી છે. નિષ્ણાતોના મતે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
કેટલાક રાજ્યોમાં વેક્સિન ફરજિયાત કરાઈ
કેટલાક રાજ્યોએ બસો, મોલ જેવા જાહેર સ્થળોએ જવા માટે રસીનો બંને ડોઝ ન લેનારાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું છે કે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી નથી તેમને ૧ જાન્યુઆરીથી જાહેર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વેક્સિનના બંને ડોઝ લીધા વિના મેરેજ હોલ, હોટેલ, બેન્ક, કોઈ મોલ, કોઈ પણ સરકારી ઓફિસ અને બસોમાં જવા પર પ્રતિબંધ રહેશે.
પંજાબ: વેક્સિન નહીં તો પગાર નહીં
પંજાબ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે નવા વર્ષથી પગાર માટે કોરોના વેક્સિન ડોઝ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે. નહીં તો પગાર રોકી દેવામાં આવશે.
મહારાષ્ટ્ર: જાહેર સ્થળોએ જવા માટે રસીનો બંને ડોઝ ફરજિયાત
ઓમિક્રોન કેસ વધતા મહારાષ્ટ્ર સરકારે પણ કડક પગલાં ઉઠાવ્યાં છે. સરકારે નિર્દેશો જારી કર્યા છે કે જે લોકો રસીનો બંને ડોઝ લેશે તેમને જ જાહેર સ્થળોએ જવાની મંજૂરી આપવામાં આવશે. ઠાકરે સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે જો તે રસી વિનાના લોકોને જાહેર સ્થળોની મુસાફરી અને મુલાકાત લેવાની મંજૂરી આપે તો તે "સુપર સ્પ્રેડર" સાબિત થઈ શકે છે.
દેશ હવે ત્રીજી લહેરની વચ્ચે
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરના મધ્યેથી શરુ થઈ હોવાની શક્યતા છે. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા અનેક અભ્યાસોના તારણો દ્વારા આ માહિતી બહાર આવી છે.