જીવલેણ કોરોના વાયરસે હવે ચીન બાદ ઈટલીમાં પણ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે ઈટાલીમાં મૃતકોની સંખ્યા વધીને ૧૦૦ને પાર પહોંચી ગઈ છે અને આ ઘાતક વાયરસના ચેપની ઝપટમાં આવનારા લોકોની સંખ્યા ૩,૦૦૦થી ઉપર જતી રહી છે. ઈટલીની સરકારે આ સત્તાવાર જાણકારી આપી છે.
કોરોનાથી ઈટાલીમાં મચ્યો હાહાકાર
મૃતકોની સંખ્યા વધીને 100ને પાર પહોંચી
24 કલાકમાં વધુ 28 લોકોએ ગુમાવ્યા જીવ
ઈટલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૨૮ લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે મૃતકોની સંખ્યા હવે ૧૦૭ થઈ ગઈ છે. ચીનની બહાર કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલા અધિકૃત આંકડાઓ અનુસાર, ઈટલીમાં અત્યાર સુધીમાં કોરોનાના ચેપના ૩,૦૮૯ કેસ સામે આવ્યા છે. ઈટલીમાં ખતરનાક કોરોના વા/રસનો ભોગ બનેલા લોકોની સંખ્યા ૧૦૭ પર પહોંચતાં જ આ વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે તમામ સ્કૂલ અને યુનિવર્સિટીઓને આગામી ૧૫ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યાં છે. સરકારે આ નવો આદેશ ગઈ કાલે બુધવારે આપ્યો હતો.
હાલ સુધી થયા આટલા મોત
કોરોનાના કારણે ચીન બાદ સૌથી વધુ મોત ઈટલીમાં થતાં હાહાકાર મચી ગયો છે. અહીં પોપ ફ્રાન્સિસ બીમાર પડતાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી હતી. જોકે ત્યારબાદ વેટિકન દ્વારા એવું જણાવાયું છે કે, તેમને માત્ર સામાન્ય શરદી-ઉધરસ જ છે અને હવે તેમની તબિયત સુધારા ઉપર છે. દુનિયાભરના દેશોમાં જીવલેણ કોરોના વાયરસ ભયંકર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગઈ કાલે ચીનમાં કોરોનાના ૧૧૯ નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર પાંચ કેસ જ આ વાયરસના કેન્દ્ર એવા વુહાનના હતા. ચીનમાં અત્યાર સુધીમાં ૮૦,૨૭૦ કેસ નોંધાયા છે અને ૨,૯૮૧ લોકોનાં મોત થયાં છે.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે, હુબેઈ પ્રાંતમાં આ વાઈરસનો ચેપ ફેલાયા બાદ બનાવવામાં આવેલી હોસ્પિટલ હવે બંધ થવાની શક્યતા છે, કારણ કે અહીં હજારો પથારીઓ ખાલી પડી છે.