અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના નેગેટિવ દર્દીને પોઝિટિવ સમજી ICUમાં દાખલ રખાયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયાના 9 દિવસ બાદ મહિલા દર્દીનો મોત થયું છે. મહિલા દર્દીને ICUમાં રખાતા મોત થયાનો દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાએ ભરડો લીધો છે, કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. કોરોનાના નેગેટિવ દર્દીને કોવિડ દર્દી ગણી ICUમાં દાખલ કરી દેવાયા હતા. અસારવા UHC સેન્ટર પર દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અસારવાના ઇન્દિરાબેનને શ્વાસ ચડતા 19 નવેમ્બરના 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ICUમાં રાખવાથી મહિલા દર્દીનું મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. હોસ્પિટલ તંત્ર સામે મૃતક દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલ તંત્રની બેદરકારીથી અમારા સ્વજનનું મૃત્યુ થયું છે.
કોરોનાનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, 19 નવેમ્બરના રોજ અસારવા UHCમાં ઇન્દિરાબેન પટેલનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે એજ દિવસે રાત્રીના મહિલા દર્દીને ઓક્સિજન ઓછો પડતાં ફેમિલી ડૉક્ટરની સલાહ બાદ યુ.એન. મહેતા હોસ્પટિલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને કોરોના RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા.
દર્દીનું મોત થયા બાદ સિવિલ તંત્રએ દર્દીનાં પરિવારજનોને 2 કલાક બાદ જાણ કરી
મહિલા દર્દીના પરિવારજનોએ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાથી તેમને અન્ય વોર્ડમાં રિફર કરવા માટે વિનંતી કરી હતી. તેમ છતા હોસ્પિટલે વાત ન માની. ત્યારબાદ 29 નવેમ્બરે સવારમાં 8 વાગ્યે મહિલા દર્દીનું મૃત્યુ થયું હતું. તેમ છતાં હોસ્પિટલ દ્વારા પરિવારજનોને 2 કલાક બાદ 10:30 વાગ્યે મૃત્યુ અંગે જાણ કરવામાં આવી હતી. જોકે મોડે મોડે હોસ્પિટલ તંત્રને પોતાની ભૂલ સમજાતા મહિલા દર્દીનો મૃતદેહને તેમના પરિવારજનોને આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ પરિવારજનો પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને દૂધેશ્વર સ્મશાનગૃહ લઇ ગયા હતા.