કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ગુજરાતમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત, રાજકોટ અને અમદાવાદમાં એક-એક પોઝિટિવ કેસ મળી આવ્યા છે. કોરોનાને લઇને આરોગ્ય વિભાગ સતર્ક હોવાનું કહેવાતું હતું પરંતુ રાજકોટના કોરોના પોઝિટિવ કેસમાં જ સરકાર અને તંત્ર થાપ ખાઇ ગયું છે, જેને લઇને ખતરો વધ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા
મક્કા મદીનાથી આવેલો દર્દી રાજકોટમાં ફર્યો હતો
અલગ અલગ હોસ્પિટલમાં સારવાર પણ લઇ રહ્યો હતો
દરરોજ કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગ તરફથી એક યાદી સ્ટેટ કંટ્રોલને અને ત્યાંથી જે-તે જિલ્લાને મોકલવાનો શિરસ્તો શરૂ થયો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં શહેરમાં 274 અને જિલ્લામાં 104 મુસાફરોને ઘરે-ઘરે જઇને ચેક કરાયા હતા. જેમાંથી ગામના 57 અને શહેરના 166 હવે ઇન્ક્યુબ્રેશન પિરયડથી બહાર નીકળી ગયા હોવાનું અને શહેરના 108 અને ગ્રામ્યના 47 હજુ ઓબ્ઝર્વેશનમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગે કબૂલ્યું છે કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના યુવકનું નામ એવી યાદીમાં તંત્રને મળ્યું જ નથી એટલે ગઇકાલ સુધી તેનું ટ્રેસિંગ કરવાનો પ્રશ્ન જ નહતો.
કોરોનાનો દર્દી દસ દિવસ રાજકોટમાં ફર્યા કર્યો
રાજકોટના જંગલેશ્વર-2માં સોસાયટી નજીક રહેતો આ યુવક દરજીકામ કરે છે અને તેની સાથે પરિવારના 11 વ્યક્તિઓ સાથે મક્કા-મદીના ગયા હતા. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા અને ત્યાંથી ટ્રેન મારફતે 8 માર્ચે રાજકોટ પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણથી ચાર લગ્ન પ્રસંગમાં અને એક ધાર્મિક કાર્યક્રમમાં ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, 12 માર્ચથી તેની તબિયત લથડી હતી. જેને લઇને તેને અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેથી તેણે કેટલીક હોસ્પિટલોમાં સારવાર લીધી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ અંગે ડૉક્ટરોએ પણ સરકારી તંત્રને જાણ નહોતી કરી. જે જગ્યાએ તેમની સારવાર કરવામાં આવી હતી ત્યાંના એક ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ દર્દી છેલ્લા 10 દિવસ જેમના સંપર્કમાં આવ્યો તેની સંખ્યા ઘણી વધતી જણાઇ રહી છે. નજીક નજીકના ત્રણ મકાનમાં એ પરિવારના કુલ 16 વ્યકિત રહે છે. તેવામાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે કોરોનાનો ચેપ ન ફેલાય. ત્યારે સરકારી તંત્રથી માંડીને અનેકની બેદરકારી સામે આવી છે.