ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની સ્થિતિ કોરોના કાળમાં દયનીય છે. જાણો છો કેમ? કારણ કે વિકાસની વાતો કરનાર અમદાવાદ મનપા પાસે હાલ માત્ર 14 જ શબવાહિની છે. મોત કોરોનાથી થઈ રહેલા મૃત્યુમાં ગાઈડલાઈન મુજબ મૃતદેહ લાવવા લઈ જવામાં કરવી પડતી કવાયતને કારણે સેનેટાઈઝેશનની પ્રક્રિયાને કારણે ખાનગી શબવાહિનીઓ પણ ઝડપથી મળતી નથી ત્યારે મેગાસીટી અમદાવાદની પોલ ખુલી ગઈ છે.
મેગા સિટી અમદાવાદઃ નામ બડે ઔર દર્શન છોટે
મ્યુનિ. પાસે કોરોનાકાળમાં પૂરતી શબવાહિની જ નથી!
મૃતદેહને ઉપાડનારા સ્ટ્રેચરબેરર પણ પૂરતી સંખ્યામાં નથી
શહેરના ભાજપના શાસકોએ વિકાસ અમારો સંકલ્પના સૂત્ર સાથે 'ન્યૂ અમદાવાદ ફોર ન્યૂ ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરવા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે રૂ.૯૬૮પ કરોડનું જમ્બો બજેટ રજૂ કર્યું છે, જેમાં શાસક પક્ષ દ્વારા રૂ.૪૪૩.૯૧ કરોડ વધારાનાં વિકાસકામ માટે ફાળવાયા છે, જેમાં જાતજાતના અને ભાતભાતના પ્રોજેકટનાં આયોજન કરીને સપ્તરંગી ચિત્ર ઉપસાવાયું છે, જોકે સામાન્ય અમદાવાદીઓ માટે તો આ સમગ્ર કવાયત એક પ્રકારે 'નામ બડે ઔર દર્શન છોટે' જેવી પુરવાર થઇ છે.
શબવાહિની મેળવવા ફાંફે ચઢવું પડે છે
શહેરમાં રોજેરોજ ૭૦થી ૮૦ મોત કોરોના સિવાયનાં વૃદ્ધાવસ્થા, બીમારી, અકસ્માત જેવાં કારણોથી થાય છે. બીજી તરફ છેલ્લા ચાર મહિનાથી કોરોનાનો કપરો કાળ શરૂ થયો છે. કોરોનારૂપી રાક્ષસ તમામ લોકોને તોબા પોકારાવી રહ્યો છે. શહેરમાં કોરોનાના કુલ રર,૪૩૬ કેસ નોંધાયા હોઇ તેનાથી ૧૪૮૭ દર્દી મૃત્યુ પામ્યા છે. તેમ છતાં જે ઘરે મૃત્યુએ ટકોરા વગાડ્યા હોય તે ઘરના લોકોને મૃતકને સ્મશાન કે કબ્રસ્તાન સુધી પહોંચતા કરવા માટે શબવાહિની મેળવવા ફાંફે ચઢવું પડે છે, કેમ કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે આંગળીના વેઢે ગણાય એટલી ફકત ૧૪ શબવાહિની છે, જેમાં રોજની બે-ચાર તો ટેકનિકલ ખામી કે અન્ય કારણસર બંધ હાલતમાં હોય છે. આવી કડવી વાસ્તવિકતા હોવા છતાં સત્તાવાળાઓ તેની સામે આંખ મિંચામણાં કરી રહ્યા હોઇ આ બાબત ખરેખર ખૂબ આઘાતજનક છે.
નાગરિકોને અંતિમધામ પહોંચાડવા માટે કુલ ૧૪ શબવાહિની
મેગા સિટી અમદાવાદ કહો કે સ્માર્ટ સિટી અમદાવાદ ગણો, પરંતુ શહેરના સત્તાધીશો પાસે પોતાના નાગરિકોને અંતિમધામ પહોંચાડવા માટે કુલ ૧૪ શબવાહિની પૈકી બે મોટી અને ૧ર નાની છે, જે પૈકી એક મોટી ગાડી રિપેરિંગમાં છે જ્યારે બીજી ગાડી જનાજા અને કોફિન લઇ જવાના ઉપયોગમાં લેવાય છે, જ્યારે નાની ગાડી પૈકી બે-ત્રણ રૂટિનમાં બ્રેકડાઉન હોય છે. બીજી ચાર-પાંચને સરકારી હોસ્પિટલના આરએમઓની સૂચનાથી કોરોનાના મૃતક માટે મોકલવી પડે છે એટલે શહેરમાં અન્ય કારણોથી મૃત્યુ પામનારા માટે માંડ પાંચ શબવાહિની શેષ રહે છે!
ખાનગી શબવાહિનીના હજાર નખરા
અમદાવાદમાં રોજનાં ૭૦થી ૮૦ મૃત્યુ થતાં હોઇ શબવાહિની માટે ફોન કર્યા બાદ પણ લાંબી પ્રતીક્ષા કરવી પડે છે, જોકે ખાનગી શબવાહિનીના રૂ.૬૦૦થી રૂ.૧પ૦૦નો ચાર્જ હોઇ પ્રતિકલાકના રૂ.પ૦નો ચાર્જ ધરાવતી મ્યુનિ. શબવાહિનીનો સામાન્ય લોકો આગ્રહ રાખે છે, તેમ છતાં મ્યુનિ. શબવાહિનીની અછત હોઇ નાછૂટકે ખાનગી શબવાહિની બોલાવવી પડે છે.
કોરોના મહામારીના સમયમાં તેનાથી મૃત્યુ પામનારા દર્દી સાથે સંકળાયેલી શબવાહિની પણ સમયસર મળી શકતી નથી. મૃતદેહનું સેનિટાઇઝેશન, મૃતદેહનો કબજો, સ્ટાફનો પીપીઇ કિટ મેળવવામાં એક કલાક વેડફાઇ જાય છે અને સ્મશાન-કબ્રસ્તાનમાં અંતિમવિધિ સંપન્ન થયા બાદ શબવાહિનીનું સેનિટાઇઝેશન, પીપીઇ કિટનો નિકાલ વગેરે કર્યા બાદ શબવાહિની લગભગ બે કલાકે અન્ય કોરોના મૃતક માટે ફાજલ પડે છે. સ્મશાનગૃહમાં જો અન્ય મૃતદેહનો નિકાલ બાકી હોય તો કોરોનાના મૃતકને શબવાહિનીમાંથી ઉતારી શકાતા નથી. આમ, કોરોનાથી મોતને ભેટેલા દર્દીના અંતિમ સંસ્કાર માટે પણ સામાન્ય લોકોને સમયસર શબવાહિની મળતી નથી. ખાનગી હોસ્પિટલ પણ અનેક વાર પોતાની હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો કોરોનાના દર્દી માટે શબવાહિની ફાળવતી નથી.
મૃતદેહને ઉપાડનારા સ્ટ્રેચરબેરર પણ પૂરતી સંખ્યામાં નથી
આ તો ઠીક, મૃતદેહને ઉપાડનારા સ્ટ્રેચરબેરર પણ પૂરતી સંખ્યામાં નથી. તંત્રમાં કુલ ૧૮ સ્ટ્રેચરબેરરની જગ્યા હોઇ ફકત સાત સ્ટ્રેચરબેરર ફરજ બજાવે છે. તંત્ર પાસે પૂરતી સંખ્યામાં ડ્રાઇવર નથી. મ્યુનિ. શબવાહિનીને એએમટીએસના ડ્રાઇવર ચલાવે છે. દરમિયાન છ મહિનાથી ત્રણ મોટી અને સાત નાની મળીને કુલ ૧૦ શબવાહિની માટે બે વખત નીકળેલા ટેન્ડરમાં સિંગલ ટેન્ડર આવતાં તંત્રે આખી ફાઇલ જ અભરાઇએ ચઢાવી દીધી છે.
જોકે હવે મેયરના સ્પેશિયલ બજેટમાંથી એક મોટી અને બે નાની મળીને કુલ ત્રણ શબવાહિની ખરીદવાનાં ચક્રો ગતિમાન તો કરાયાં છે તેમ છતાં નવી શબવાહિની મેળવવામાં હજુ ત્રણથી ચાર મહિના લાગી જશે એટલે દિવાળી સુધી તો સામાન્ય નાગરિકોના લમણે કોરોનાના મૃત્યુના તાંડવ વચ્ચે હેરાનગતિ જ લખાયેલી રહેશે. અલબત્ત, ખાનગી ટ્રસ્ટ સાથે તંત્ર કરાર કરીને તેમને નિયત ચાર્જ ચૂકવી આ પ્રશ્નનો ઉકેલ લાવી શકે તેવી પણ ચર્ચા ઊઠી છે. અત્રે યાદ રહે કે કોરોનાના દર્દીની સારવાર માટે તંત્રે ખાનગી હોસ્પિટલ અને હોટલ સાથે કરાર કર્યા જ છે.