દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાનની સાથે સાથે, એક અન્ય રાહત સમાચાર છે કે આ રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે.
કોરોના કેસોની ઘટી રહી છે રફતાર
છેલ્લા 7 દિવસમાં 146 જિલ્લાઓમાં એક પણ કેસ નથી
દેશમાં દરરોજ 12 લાખ જેટલા ટેસ્ટિંગ થઈ રહ્યા છે: આરોગ્ય મંત્રી
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસમાં દેશના 146 જિલ્લાઓમાં કોરોના ચેપનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
146 જિલ્લાઓમાં એક પણ કેસ નહીં
ડો. હર્ષવર્ધને ગુરુવારે કહ્યું કે ભારતે કોવિડ -19 રોગચાળા પર મોટા પ્રમાણમાં કાબૂ મેળવી લીધો છે, અને દેશના 146 જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસમાં કોઈ નવા કેસ નોંધાયા નથી. આ સિવાય આરોગ્ય પ્રધાને કહ્યું કે, 18 જિલ્લામાં 14 દિવસથી, છ જિલ્લામાં 21 દિવસથી અને 21 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં કોરોના વાયરસના નવા એક પણ કેસ નોંધાયા નથી.
દેશમાં અત્યાર સુધીમાં 19.5 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિડ -19 પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની 23 મી મીટીંગની વીડિયો કોન્ફરન્સની અધ્યક્ષતા કરતાં ડો.હર્ષ વર્ધને કહ્યું કે આ સિદ્ધિ ખૂબ જ ઝડપી ટેસ્ટિંગના લીધે પ્રાપ્ત થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 19.5 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં દેશમાં દરરોજ આશરે 12 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 12 હજારથી ઓછા કેસ
આરોગ્ય પ્રધાને કહ્યું કે ભારતે આ રોગચાળાને સફળતાપૂર્વક અટકાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12,000 થી ઓછા કેસ નોંધાયા છે, જ્યારે કે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ફક્ત 1.73 લાખ પર આવી ગઈ છે.
માત્ર 0.46 ટકા લોકો જ હવે વેન્ટિલેટર પર
દાખલ કરાયેલા દર્દીઓમાં માત્ર 0.46 ટકા લોકો જ વેન્ટિલેટર પર છે, જ્યારે 2.20 ટકા દર્દીઓ આઈસીયુમાં દાખલ છે અને સંક્રમિતોના 3.02 ટકા લોકોને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.
ડો. હર્ષવર્ધને જણાવ્યું કે ભારતમાં બ્રિટનમાં વાયરસના નવા સ્વરૂપમાં મળી આવેલા 165 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.
રસીકરણમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો.વિનોદ કે પૌલ અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ 16 જાન્યુઆરીએ વડા પ્રધાને શરૂ કરેલી રસીકરણ અભિયાન વિશે GoMને માહિતી આપી હતી. ડો.પોલે જણાવ્યું હતું કે રસી આપવામાં કરવામાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે અને આગામી કેટલાક દિવસોમાં તે ત્રીજા સ્થાને આવી જશે. 23 લાખ લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.