છેલ્લા અઠવાડિયાથી કોરોના કેસમાં ઉછાળો આવી રહ્યો છે, આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં 5,240 દર્દીઓ સાથે 61 ટકા સક્રિય કેસ કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે.
છેલ્લા અઠવાડિયાથી કોરોના કેસમાં ઉછાળો આવી રહ્યો છે
દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8,601 થઈ ગઈ
કયા રાજ્યમાં નોંધાયા કેટલા કેસ? જાણો
ભારતમાં કોરોનાની ગતિ ફરી એકવાર વધી છે. છેલ્લા અઠવાડિયાથી કેસમાં ઉછાળો આવી રહ્યો છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કેસ વધી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1590 નવા કેસ સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ આંકડો છેલ્લા 146 દિવસમાં સૌથી વધુ છે. આ સાથે જ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8601 થઈ ગઈ છે. નોંધનીય છે કે કોરોનાની સારવાર દરમિયાન છ દર્દીઓના મોત થયા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ત્રણ રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરાખંડમાં એક-એક દર્દીના મોત થયા છે.
કયા રાજ્યમાં નોંધાયા કેટલા કેસ?
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં 5,240 દર્દીઓ સાથે 61 ટકા સક્રિય કેસ કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. મહત્વનું છે કે કેરળમાં સૌથી વધુ સક્રિય દર્દીઓની સંખ્યા 2186, મહારાષ્ટ્રમાં 1763 અને ગુજરાતમાં 1291 છે. કર્ણાટક ચોથા સ્થાને, તમિલનાડુ પાંચમા અને દિલ્હી છઠ્ઠા સ્થાને છે.
અત્યાર સુધી 4.47 કરોડથી વધુ લોકો સંક્રમિત
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,47,02,257 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેમાંથી 4,41,62,832 લોકોએ કોરોનાને માત આપી હતી. સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા દર્દીઓનો આંકડો 5,30,824 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 98.7 ટકા છે.
દેશના આઠ રાજ્યો કોરોના મુક્ત
સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં સંક્રમણની ગતિ વધી હોવા છતાં આઠ રાજ્યો એવા છે જ્યાં એક પણ કોરોના દર્દી નથી. જેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, દાદર નગર હવેલી અને દમણ દીવ, લક્ષદ્વીપ, મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.