અમદાવાદનાં એક જાણીતા આર. જે ધ્વનિતને વાણી વિલાસ ભારે પડ્યો છે. આ આર.જે એ ઈન્દિરા ગાંધી અને નહેરુ પર કરેલી કમેન્ટને કારણે કોંગ્રેસ તેમનાં પર ભળક્યું છે. જેને પગલે ધ્વનિત વિવાદમાં સપડાયો છે. એવી તો શું કમેન્ટ હતી ધ્વનિતે કે તે વિવાદમાં સપડાયો?
ધ્વનિત ઈન્દિરા ગાંધી અને નહેરુને લઈને કમેન્ટ કરતા વિવાદ
અમદાવાદનો જાણીતા રેડિયો જોકી ધ્વનિતે ઈન્દિરા ગાંધીને લઈને એક કમેન્ટ પાસ કરી હતી. જેને પગલે કોંગ્રેસે તેનો ઉઘડો લીધો છે અને NSUI દ્વારા વિરોધ પણ થયો છે.આ કમેન્ટ ધ્વનિતની સાખને ઠેસ પહોંચી શકે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ધ્વનિતે શું કમેન્ટ કરી હતી?
ધ્વનિતે ઈન્દિરા ગાંધીની જન્મ જયંતિ પર કમેન્ટ કરી હતી. આર.જે ધ્વનિતે રેડિયો પર વિવાદિત દાવો કર્યો હતો. ધ્વનિતે ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુને ઉદ્દેશીને કમેન્ટ કરી હતી કે તેઓ ગાંધીજી સાથે રહ્યાં છતાં માંસાહાર છોડી શક્યાં નહોતાં.
કોંગ્રેસે ધ્વનિતનો સોશિયલ મીડિયા પર ઉધડો લીધો
ધ્વનિતનાં વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે સોશિયલ મીડિયા પર ધ્વનિતનો ઉધડો લીધો હતો. તેમણે ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરૂ પર કરેલી ધ્વનિતની વાત અયોગ્ય ગણાવી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, તમે આ લોકોનાં દેશ માટે આપેલાં બલિદાન ભૂલીને અયોગ્ય વાતો કરો છો. તેમજ જયરાજસિંહે ધ્વનિતને ઈન્દિરાજીનાં ઐતિહાસિક નિર્ણયો ગણાવી દીધાં હતા.
જયરાજસિંહે ધ્વનિતનો સોશિયલ મીડિયા પર ઉધડો લેતી પોસ્ટ બાદ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે NSUIએ ધ્વનિતનાં કાર્યક્રમોનાં વિરોધની ચિમકી ઉચ્ચારી હતી. આ સાથે ધ્વનિતનાં અલગ અલગ કોલેજોમાં યોજાતાં કાર્યક્રમોમાં વિરોધ નોંધાવવાની ચિમકી આપી હતી.
NSUIનાં કાર્યકરોનું વિરોધ પ્રદર્શન કર્યું
NSUIનાં કાર્યકરોએ આર જે ધ્વનિત સામે વિરોધ પ્રદર્શન કરવા વેજલપુર સ્થિત રેડિયો મિર્ચીની ઓફિસમાં પહોંચ્યાં હતા. તેઓએ ધ્વનિતનાં નિવેદન મામલે વિરોધ કર્યો હતો. તેમજ તેણે ધ્વનિતે આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે માફી માંગવા અપીલ કરી હતી.