કોલેજમાં પ્રવેશ કે અભિયાન માટે કોઈ પરવાનગી લેવાઈ નથી: પ્રિન્સિપાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા તથા તાલુકા લેવલે પણ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત મહેસાણાની બહુચરાજીની સરકારી આર્ટસ કોલેજમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ભાજપના સદસ્યતા અભિયાનની કામગીરી કરાતા વિવાદનો સૂર ઉભો થયો છે.આ ઘટનાને કોલેજના પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે.
શાળાના પ્રિન્સિપલે ઉઠાવ્યો વાંધો
મહેસાણાની બહુચરાજી કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ જોશીએ નિવેદન આપતા જણાવ્યું કે હું રજા પર હતો તે સમયે કેટલાક લોકો કોલેજમાં આવ્યા હતા. કોલેજમાં પ્રવેશ કે અભિયાન માટે કોઇ પરવાનગી લેવાઇ નથી. આગળની કાર્યવાહી માટે ઉચ્ચ કક્ષાએ માર્ગદર્શન માંગ્યુ છે, ઉચ્ચ કક્ષાએથી સૂચના મળ્યા મુજબ કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ બહુચરાજી તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશ ચૌહાણે ભૂલ થઇ હોવાનો સ્વીકાર કર્યો હતો.તેમણે જણાવ્યું કે કોલેજમાં કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી. હવે પછી આ બાબતે ખાસ ધ્યાન રાખીશું.
શું બન્યો હતો વિવાદ
વાત જાણે એમ છે કે બહુચરાજીની સરકારી આર્ટ્સ કોલેજમાં સોમવારે શૈક્ષિણક કાર્ય ચાલી રહ્યુ હતું તે દરમિયાન ભાજપના હોદ્દેદારો ક્લાસરૂમમાં આવી ગયા અને ભાજપના સદસ્ય બનાવવાનું શરૂ કરી દીધું. બપોરે 12 વાગ્યાની આસપાસ તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ નીરવ રાવલ સહિત 8થી 10 હોદ્દેદારો અને કાર્યકરો કોલેજના પ્રિન્સિપાલની પૂર્વમંજૂરી લીધા વિના જ કોલેજમાં આવી ગયા હતા. કોલેજના નોટિસ બોર્ડ પર સદસ્યતા અભિયાન લખી સંપર્ક માટે મોબાઈલ નંબર જાહેર કરીને વિદ્યાર્થીઓને સભ્ય બનવા માટેની કામગીરી શરૂ કરી દેવાઇ હતી . તો સમગ્ર મામલો સામે આવતા કોંગ્રેસે વિરોધ નોંધાવીને પગલા લેવાની રજૂઆત કરી હતી.
ભાજપના કાર્યકર્તાઓએ કોલેજના નોટિસ બોર્ડ પર “સદસ્યતા અભિયાન 78781 82182 રેફરન્સ નંબર 99784 05914 રજનીભાઈ પટેલ’ લખી નાખ્યું હતું