ઈટેલિજન્સ એજન્સીને ખાનગી રાહે બાતમી મળી છે કે આતંકીઓનાં નિશાના પર અયોધ્યાનું રામ મંદિર છે. એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ વધુ સતર્ક બની ગઈ છે.
પ્રજાસત્તાક દિને દિલ્હી સહિત મોટા શહેરો આતંકવાદીઓના નિશાના પર
અયોધ્યાના રામ મંદિરને ટાર્ગેટ કરી શકે છે આતંકવાદીઓઃસૂત્રો
સ્લીપર સેલ અને ગેરકાયદે રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે આતંકવાદીઓ
પ્રજાસત્તાક દિવસે દેશની રાજધાની દિલ્લી સહિત કેટલાક મોટા શહેરોમાં આતંકીઓની નજર બનેલી છે. ઈંટેલીજન્સ એજન્સીને ખાનગી રાહે જાણકારી મળી છે કે આતંકીઓ અયોધ્યાના રામ મંદિરને ટાર્ગેટ કરી શકે છે. એજન્સીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રામ મંદિર પર આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતા વધારે સતર્ક થઈ ગઈ
એજન્સીને મળેલ ઈનપુટના આધારે આગામી દિવસોમાં પાકિસ્તાની આતંકી સંગઠન રામ મંદિર પર હુમલો કરવાનો પ્લાન કરી રહ્યું છે. જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને આ હુમલાનું ષડયંત્ર રચ્યું છે. નેપાળના રસ્તે કેટલાક આતંકવાદીઓ આત્મઘાતી ટુકડી મોકલી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું છે. તમને જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણનું 50 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે ત્યાં સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા કડક છે. ત્યારે આ અલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતા વધારે સતર્ક થઈ ગઈ છે.
સ્લીપર સેલ અને ગેરકાયદે રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે
ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે પ્રજાસત્તાક દિવસના અવસર પર આતંકવાદીઓ દિલ્હીથી પંજાબ અને દેશના અન્ય ઘણા શહેરોમાં મોટા હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાનની ISI ઈસ્લામિક સ્ટેટ અલ કાયદાએ પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નેટવર્કની મદદ લીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ISI 26 જાન્યુઆરીના રોજ દિલ્હી અને પંજાબમાં IED બ્લાસ્ટ કરવા માટે તેના સ્લીપર સેલ અને ગેરકાયદે રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે જો 26 જાન્યુઆરીએ આતંકવાદી યોજના નિષ્ફળ જશે તો G20 સમિટને નિશાન બનાવવામાં આવશે.