ગુજરાત સરકારના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાના નિર્ણયને ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
સરકારના નિર્ણયને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ગણાવ્યો ચૂંટણીલક્ષી નિર્ણય
સત્તા જવાનો ડર હોવાથી સરકારે આ નિર્ણય લીધો: જગદીશ ઠાકોર
જે નિર્ણયો પહેલાં લેવાના હતા એ હવે લેવાઈ રહ્યાં છે: જગદીશ ઠાકોર
આજના 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોડાસામાં રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાના નિર્ણય પર કોંગ્રેસે સરકાર પર પલટવાર કર્યો છે.
જે નિર્ણયો 5-10 વર્ષ પહેલાં લેવાના હતા એ હવે ચૂંટણી સમયે લેવાઈ રહ્યાં છે
રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થાના નિર્ણયને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો છે. જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'સત્તા જવાનો ડર હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. જેમ ચૂંટણીઓ આવશે અને મતનો ડર લાગશે તેમ નિર્ણયો લેવાશે. ભાજપ સરકારના પગ તળેથી જમીન જતી દેખાઈ રહી છે. જે નિર્ણયો 5-10 વર્ષ પહેલાં લેવાના હતા એ હવે ચૂંટણી સમયે લેવાઈ રહ્યાં છે.'
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના ભથ્થામાં કર્યો 3 ટકાનો વધારો
અત્રે તમને જણાવી દઇએ કે, 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે રાજ્યના કર્મચારીઓના ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. આ વધારો 7માં પગારપંચને આધારે આપવામાં આવશે. જેની અમલવારી 1 જાન્યુઆરી 2022થી ગણવામાં આવશે. જેથી આ 7 મહિનાના તફાવતની રકમ 3 અઠવાડિયામાં ચૂકવવામાં આવશે. સાથે ઓગસ્ટથી ઓક્ટોબર મહિનામાં તફાવતની રકમ પણ અઠવાડિયામાં ચૂકવવામાં આવશે.
બીજી બાજુ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઇને કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ આર.એસ.પટેલે જણાવ્યું કે, 'હજુ પણ અમારા પડતર પ્રશ્નો ઘણા છે. હજુ જૂના પગારપંચ પ્રમાણે જ ભથ્થા મળે છે. અમને સાતમા પગારપંચ પ્રમાણે ભથ્થા આપો.'