જયરાજસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરતાની સાથે જ રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે. ત્યારે આ વચ્ચે ભાજપ ફરી કોંગ્રેસમાં ભંગાણ કરશે.
ભાજપ ફરીવાર કોગ્રેસમાં ભંગાણ પાડશે
આવતીકાલે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાશે
આ અગાઉ જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવાની કરી જાહેરાત
ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીના યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને પગલે દ્વારકામાં 25,26,27 ફેબ્રુઆરીના રોજ ચિંતન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે. મહત્વનુ એ છે કે, આ ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી પણ એક દિવસ માટે શિબિરમાં હિસ્સો લેશે. ત્યારે હવે ચિંતન શિબિર પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવા જઇ રહ્યો છે.
કાલે કોંગ્રેસના પ્રવક્તા ભરત દેસાઇ સહિત કેટલાક નેતા ભાજપમાં જોડાશે
જયરાજસિંહ પરમારે 22 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તે પહેલા જ આવતીકાલે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પ્રવક્તા ભરત દેસાઇ આવતીકાલે ભાજપમાં જોડાશે. તો કોંગ્રેસ ઓવરસિઝના રાકેશ ગોસ્વામી અને પ્રશાંત પરમાર પણ ભાજપમાં જોડાશે. આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં જોડાશે.
કોંગ્રેસમાંથી આપી દીધું હતું રાજીનામું
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને જ કોંગ્રેસ પ્રવક્તા ભરત દેસાઈએ પક્ષ પ્રત્યે નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. સોશિયલ મીડિયા પર પ્રવક્તા ભરત દેસાઈએ પોસ્ટ કરીને પક્ષને અલવીદા કહી દીધું હતું. તેમના રાજીનામાને લઈને મોટા કોંગ્રેસ નેતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ભરત દેસાઇ પ્રવક્તા સિવાય મીડિયા ઈન્ચાર્જ અને માલધારી સેલના પ્રમુખ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસના ડેલીગેટ પણ રહી ચૂક્યા છે.
પહેલા સમર્થકો અને બાદમાં જયરાજસિંહ ભાજપમાં જોડાશે, CR પાટીલ સાથે થઇ હતી ચર્ચા
જયરાજસિંહ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત પહેલા જયરાજસિંહે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. અઢી કલાક સુધી ચાલેલી મુલાકાતમાં પહેલા સમર્થકો અને બાદમાં જયરાજસિંહ જોડાશે તેવી ચર્ચા થઈ હતી. તો જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી પણ પાટીલ દ્વારા ખાતરી અપાઈ હતી. પાટીલ દ્વારા ચાંદીનો સિક્કો આપીને જયરાજસિંહનું સ્વાગત્ કરાયું હતું. સૂત્રો પાાસેથી મળતી માહિતી અનુસાર, જયરાજસિંહ પરમારને બોર્ડ નિગમમાં પણ સ્થાન મળી શકે છે.
કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છુંઃ જયરાજસિંહ પરમાર
જયરાજસિંહે ટ્વિટ કરીને લખ્યું કે, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022ને મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
જય હિંદ.. pic.twitter.com/FS8JZ9ZUSe