લોકસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા પર અડગ રાહુલ ગાંધએ ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર સાથે દિલ્હીના તેમના આવાસ પર મુલાકાત લીધી છે.
બંને નેતાઓની મુલાકાત બાદ એનસીપીના કોંગ્રેસમાં સંભાવિત વિલયની અટકળો તેજ બની છે. એનસીપીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેમની પાર્ટી હજુ આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે. જોકે એમણે એ વાત પર સ્પષ્ટતા કરી કે રાહુલ ગાંધી અને શરદ પવારની મુલાકાત દરમિયાન આ મુદ્દે ચર્ચા થઇ નથી.
એનસીપી નેતાએ સ્વીકાર્યું કે લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીની મળેલી કારમી હારે તમામ વિકલ્પ પર વિચારવા મજબૂર કર્યા છે.
આ પહેલા એનસીપી નેતા શરદ પવારે ગુરુવારે ટ્વિટ કર્યું, 'કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં મારા આવાસ પર મારી સાથે મુલાકાત લીધી, અમે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી અને રાજ્યમાં દુષ્કાળ વિશે ચર્ચા કરી.' રાહુલ ગાંધીએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી સાથે પણ મુલાકાતા લીધી છે.