ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે બાલારામ રિસોર્ટમાં કોંગ્રેસ(congress)ના ધારાસભ્ય દળની બેઠક યોજાઇ રહી છે. અમિત ચાવડા, પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં ચર્ચા શરૂ થઇ છે.
આ બેઠકમાં ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા પણ હાજર રહ્યા છે. રાજ્યસભાની પેટા ચૂંટણી માટે સભ્યોએ 3 વાર મોકપોલ કર્યો છે. રાજ્યસભાના બંને ઉમેદવારની હાજરીમાં સભ્યોએ મોકપોલ કર્યું છે.
વિરોધપક્ષના નેતા અલ્પેશ અને ધવલસિંહના સંપર્કમાંઃ અમિત ચાવડા
ત્યારે મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને બનાસકાંઠામાં આવેલ બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ હોવાનું ચર્ચામાં છે. જો કે આ વાતને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નકારી હતી. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીના મોકપોલની કાર્યશાળા માટે બાલારામ રિસોર્ટમાં બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો સ્વેચ્છાએ આવ્યા છે.
તો વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના સંપર્કમાં હોવાની વાત પણ તેમણે કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસને ક્રોસ વોટીંગનો કોઈ ડર નથી. આવતીકાલે બધા સાથે મળી કોંગ્રેસના ઉમેદવાર માટે મત આપશે તેમ અમિત ચાવડાએ નિવેદનમાં કહ્યું હતું.
મહત્વનું છે કે કોંગ્રેસના 71માંથી 61 ધારાસભ્યોએ બાલારામ રિસોર્ટમાં રાત્રી રોકાણ કર્યો હતો. હાલ બેઠકમાં કોંગ્રેસના કુલ 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સૂચક ગેરહાજરી રહી. ભરતજી ઠાકોર બાલારામ રિસોર્ટમાં હાજર રહ્યા હતા. 4 ધારાસભ્યો પ્રમુખની પરવાનગીથી બેઠકમાં ગેરહાજર રહ્યા છે. જેમાં ભીખાભાઇ જોશી, વિક્રમ માડમ અને ગ્યાસુદ્દીન શેખ ગેરહાજર રહ્યા હતા.