રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતના એક દિવસ પહેલા કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે શું તેઓ ટ્રમ્પની સામે H1B વિઝાની મુદત વધારશે, GSPનો દરજ્જો ફરી શરૂ કરશે અને તાલિબાનોને લગતા સલામતીના પ્રશ્નો ઉઠાવશે વગેરે જેવા ધારદાર પ્રશ્નો પૂછ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'ઈન્ડિયા ફર્સ્ટ' પર શા માટે મૌન છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા 'અમેરિકા ફર્સ્ટ'ની વાત કરી રહ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે.
પ્રથમ પ્રશ્ન-
સુરજેવાલાએ પૂછ્યું કે ટ્રમ્પ સરકારની પ્રતિબંધિત ઇમિગ્રેશન નીતિઓથી H1B વિઝા પ્રભાવિત થયા છે. ભારતીયોને 85,000 H1B વિઝામાં 70 ટકા હિસ્સો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે યુએસ ઈમિગ્રેશન નીતિ હેઠળ, વર્ષ 2015માં છ ટકાની તુલનામાં વર્ષ 2019માં 24 ટકા વિઝા અરજીઓ રદ કરવામાં આવી હતી જેમાં મોટા ભાગે આઇટી પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. તેમણે પૂછ્યું. "એક કરોડ લોકોના ભવ્ય સમારોહ પછી વડા પ્રધાન મોદી H1B વિઝામાં છૂટછાટ વિશે વાત કરશે?"
બીજો પ્રશ્ન-
સુરજેવાલાએ પૂછ્યું કે અમેરિકાએ 29 ફેબ્રુઆરીએ તાલિબાન સાથે કરાર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ ભારતની ચિંતાનું શું? તેમણે કહ્યું, "શું આપણે IC 814ના હાઇજેકિંગ અને પછી કંદહારમાં મસૂદ અઝહરની છોડી દેવાનો મામલો ભૂલી ગયા છીએ જેની સંસ્થા જૈશ-એ-મોહમ્મદે સંસદ અને પુલવામા પર હુમલો કર્યો હતો? ભવ્ય સમારોહ પૂરો થયા પછી શું મોદીજી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવશે?"
ત્રીજો પ્રશ્ન-
કોંગ્રેસ નેતાએ કહ્યું કે 5 જૂન 2019 ના રોજ અમેરિકાએ વેપારમાં સામાન્ય પસંદગી સિસ્ટમ (GSP) જેવી ચીજો પર ભારતને ડ્યુટી ફ્રી આયાત સુવિધા આપવાનું બંધ કર્યું. તેનાથી રત્ન, ઝવેરાત, ચોખા, ચામડા વગેરે સહિતની 5.6 અબજ યુએસ ડોલર જેટલી ભારતીય નિકાસને ગંભીર અસર થઈ. તેમણે પૂછ્યું કે શું વડા પ્રધાન સુનિશ્ચિત કરશે કે 'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ' જેવા ભવ્ય ઉજવણી પછી GSPનો દરજ્જો પાછો મળશે.
ચોથો પ્રશ્ન-
સુરજેવાલાએ કહ્યું કે 2018 સુધીમાં ભારતે ઈરાન પાસેથી દર મહિને 250 કરોડ ટન ક્રૂડ તેલની આયાત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે અમેરિકાના પ્રતિબંધ પછી ઇરાનથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું જેનાથી ભારતમાં તેલની કિંમતોમાં વધારો થયો. તેમણે પૂછ્યું, "શું મોદીજી અમદાવાદમાં ઉજવણી દરમિયાન ભારત માટે સસ્તા તેલની ખાતરી કરશે?"
પાંચમો પ્રશ્ન-
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ટ્રમ્પ સરકારની આયાત ડ્યુટીમાં 25 ટકાના વધારા પછી અમેરિકામાં સ્ટીલ 761.1 કરોડ ડોલરની આયાતમાં 50%નો ઘટાડો થઇને તે 37.2 કરોડ ડોલર ઉપર આવી ગઈ છે. તેમણે પૂછ્યું, "જ્યારે ભારત ત્રણ અબજ ડોલરની સંરક્ષણ ખરીદી માટે કટિબદ્ધ છે, તો પછી ભારતની સ્ટીલ નિકાસ પર કોઈ છૂટ કેમ નથી?''