કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં હાલમાં જ દિગ્ગજ નેતાઓની બેઠક મળી. જેમાં પક્ષના અધ્યક્ષને લઇને કેટલાક મુદ્દાઓ પર વાતચીત થઇ. સૂત્રોને મળતી માહિતી મુજબ હાઇકમાન્ડ ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પક્ષના દેખાવોથી નારાજ છે. જેને લઇને આગામી દિવસોમાં આ ચાર રાજ્યોમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યોમાં કોંગ્રેસના દેખાવોથી હાઇકમાન્ડ નારાજ
ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મોટા ફેરફાર થશે
4 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવી શકે છે
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર શનિવારે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં આંતરિક ફેરફાર પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં આગામી દિવસોમાં 4 રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા મોટા ફેરફારના સંકેત આપવામાં આવ્યાં છે.
કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દેખાવથી હાઇ કમાન્ડ નારાજ જોવા મળ્યું છે. ત્યારે ટૂંક સમયમાં જ સંગઠનમાં ફેરફારને લઇને હલચલ શરુ થઇ જશે.
એક અહેવાલ મુજબ આ ચારેય રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સહિત રાજ્યમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પેટાચૂંટણી બાદ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે. જ્યારે તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષે પણ રાજીનામું આપી દીધું છે.
ગુજરાતમાં ફેરવાશે સંગઠનનું માળખું
ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામું સોંપ્યું છે, ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની જવાબદારી પોતાના માથે લેતા અમિત ચાવડાની સાથે સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે ત્યારે હવે ગુજરાતના સંગઠનમાં મોટા ફેરફારનાં એંધાણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની હાજરીમાં સોનિયા ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ હવે પાર્ટીમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે.
કમલનાથ સામે પણ વધી રહ્યું છે દબાણ
ગુજરાત સિવાય મધ્ય પ્રદેશમાં પણ પાર્ટીએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું ત્યારે મધ્ય પ્રદેશનાં પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પર પણ રાજીનામાનું દબાણ વધી રહ્યું છે. તેઓ પોતે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને થોડા દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે હવે તેમને આરામની જરુર છે.