મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમભાવ હાઉસ ખાતે TOP FMના 8 સ્ટેશનો પરથી ગુજરાતની પ્રજાને નવરાત્રિની શુભકામના સંદેશ પાઠવ્યો હતો. આ સાથે ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી VTVના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
(ઈસુદાન ગઢવી, ઍડિટર - VTV NEWS)
VTVના મહામંથનમાં એડિટર ઈસુદાન ગઢવી અને હેમંત ગોલાણી સાથે CM રૂપાણીએ ગુજરાતની ચર્ચામાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ મહામંથનમાં જમ્મૂ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ 370, એન્ટી કરપ્શન બ્યુરો, અમેરિકા-ચીન ટ્રેડવૉર, અમેરિકા ભારતના ગાઢ સંબંધો અને લોકોનો સીધો એસીબી સાથે સંપર્ક સહિતની બાબતો પર વિગતે ચર્ચા કરી હતી.
CM ડેસ્ક બોર્ડ દ્વારા કેવી રીતે ફાઈલોનું મોનિટરીંગ થાય છે?
આ પ્રશ્નો જવાબ આપતાં CM રૂપાણીએ જણાવ્યું કે CM ડેસ્ક બોર્ડ દ્વારા પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકારના 26 વિભાગો વાઈઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. જેનું સીધું મોનિટરીંગ CMO કરે છે. ગામડાંના લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકાય અને લોકો હેરાન ન થાય એ માટે આ ઉભું કરાયું છે.
કોઇ ફાઇલ મોડી પડે તો CM કાર્યાલય દ્વારા નિકાલ માટે આપવામાં આવે છે સૂચના
રાજ્ય સરકારના 26 વિભાગો કાર્યરત છે. વિભાગોના અનેક પેટા વિભાગો જેની નીચે ચાલતી અસંખ્ય યોજનાઓ અને નિર્ણયો અંગેની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે નહીં, લક્ષ્યાંક સિદ્ધ થયાં કે નહીં એટલા માટે CM ડેશબોર્ડ એટલે કે આખી સિસ્ટમ સ્ક્રીન પર ચાલી રહી છે. આ ડેશબોર્ડમાં 32 જેટલા ઇન્ડિકેટર લગાડવામાં આવ્યા છે. જેમાં સરકારના તમામ વિભાગોને ઓનલાઇન જોડાવાની સૂચના છે. એટલે કે કલેક્ટર ઓફિસમાં કેટલીય ફાઇલ જેવી કે, ઇધારાની એન્ટ્રીઓ, જમીનની ફાઇલ, રેશનકાર્ડને લગતી, વારસાઇ માટેની વાત હોય તેના માટે પ્રજાને ધક્કા ખાવા પડતા હતા. તેને બદલે હવે કેટલી અરજી આવી? અરજીઓનો સમયસર નિકાલ થયો કે નહીં ? જો 30 દિવસ સુધીમાં ફાઇલનો નિકાલ ન થાય તો CM કાર્યાલયમાંથી સૂચના આપવામાં આવે કે આ ફાઇલનો કેમ નિકાલ થયો નથી તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરો. આ તમામ સુવિધાઓ CM ડેશ બોર્ડ પર ઉભી કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર રોકવા માટે કાયદા અને ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરીઃ સીએમ રૂપાણી
ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવ અંગેના સવાલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભ્રષ્ટાચારને દૂર કરવો અનિવાર્ય છે. ભ્રષ્ટાચાર રોકવા માટે બે રીતે પ્રયાસ કરાય છે. એક કાયદા કાનૂન બદલવા.(દા.ત.પેટ્રોલ પંપને દર વર્ષે રિવ્યુ કરવા જવું નહીં, હોટલના લાઇસન્સ પોલીસ પાસેથી લેવા નહીં.) સરકારે સરળીકરણ ઉભૂ કર્યું છે.
બીજી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓનલાઇન સેવાનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર રોકી શકાય છે. આ પહેલા પૈસા લેવાતા હતા જે બધા જાણે છે. પરંતુ હવે ભ્રષ્ટાચારમાં બ્રેક લાગી છે.
એસીબીને ફ્રિ હેન્ડ આપવામાં આવ્યો છે. એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) સીબીઆઇની જેમ કામ કરે છે. ભ્રષ્ટાચારી ઝડપાયો તો જીવનમાં તેની સાત પેઢી પણ આ કામ નહીં કરે. આ રીતે આપણે કામ કર્યું છે અને ઇમાનદારીથી કામ થઇ રહ્યું છે.
મોટર વ્હિકલ એક્ટના ભારત સરકારના કાયદાને અનુસરીએ છીએ
મુખ્યમંત્રી વિજય રૂપાણી નવા મોટર વ્હિકલ એક્ટ અંગેના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે ભારત સરકારના નવા મોટર વ્હિકલ એક્ટમાં કોઇ ફેરફાર નથી કર્યો. કેન્દ્ર સરકારે જે કમ્પાઉન્ડીંગની સત્તા અમને આપી છે તેમાં ફેરફાર કર્યો છે. પરંતુ અમે પણ ગંભીર ગુનાઓ જેવા કે ડેન્જર્સ ડ્રાઇવિંગ, દારૂ પી'ને વાહન ચલાવવું, વગર લાઇસન્સે વાહન ચલાવવું જેવા ગુનાઓમાં કોઇ જ ફેરફાર નથી કર્યો.
વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા માત્ર હેલ્મેટ, ત્રિપલ સવારી ડ્રાઇવિંગ અને પીયૂસીમાં જ ફેરફાર કરવામાં આવ્યા છે. બાકીનું બધું જે છે તે છે.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં સમભાવ ગ્રુપના CMD કિરણ વડોદરિયા, ડિરેકટર જગદીશ પાવરા, નીરજ અત્રી અને VTV Newsના એડિટર ઇસુદાન ગઢવી સહિતના અનેક મહાનુભવો હાજર રહ્યા હતા.
TOP FMના સ્ટેશનોથી નવરાત્રિની શુભેચ્છા પાઠવી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમભાવ TOP FMના 8 સ્ટેશનોથી ગુજરાતની પ્રજાને નવરાત્રિનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. અમદાવાદના સમભાવ હાઉસ ખાતે આવેલા TOP FMના હેડક્વાર્ટર પરથી CM રૂપાણીએ ગુજરાતની પ્રજાને સંબોધિત કરી હતી. વિજય રૂપાણીએ ગુજરાતની પ્રજાને નવરાત્રિનો શુભેચ્છા સંદેશ આપ્યો હતો.