થોડા દિવસ અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરતની મુલાકાત લીધી હતી. કોરોનાના વધતા કેસને લઇને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સાંસદ, ધારાસભ્યો, મેયર સાથે બેઠક કરી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી ફરી સુરત જવાની તૈયારી કરી રહ્યા છે.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને બેદરકારીઓ આવી રહી છે સામે
કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી 2 ઓગસ્ટે ફરી સુરતની મુલાકાતે જશે. CMની સંભવિત મુલાકાતને લઇ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને બેદરકારીઓ સામે આવી રહી છે. સુરતમાં કોરોનાથી વધતો મૃત્યુદર પણ ચિંતાનો વિષય છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 271 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 54 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 12,785 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 220 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 8,839 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 403 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3543 એક્ટિવ કેસ છે.
સુરતમાં દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છેઃ સીએમ રૂપાણી
સુરત શહેરની સમીક્ષા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, સુરતમાં દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા છે. ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસો ઘટાડો થયો છે. સુરતમાં પણ કોરોના નિયંત્રણ લાવવા તમામ પ્રયોગ કરીશું. આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ ત્રણ દિવસ સમીક્ષા કરી હતી. સુરતમા કોવિડ-19 હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂ ખર્ચાશે. સુરતમાં ખાનગી હોસ્પિટલો પણ સાથે આવી છે. ખાનગી હોસ્પિટલ 50 ટકા બેડ સરકારને આપશે. ધનવંતરી રથ પણ સુરતના 500 સ્થળો પર ફરશે. દરરોજ 12થી 15 હજાર દર્દીઓને સ્થળ પર દવા અપાશે. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં કર્ચમારીઓમાં સંક્રમણનો વધારો થયો છે.