ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
મુખ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી વચ્ચે બેઠક
રાત્રિ કરફ્યુ બાબતે લેવાશે નિર્ણય
નવા વેરિઅન્ટને લઇ થશે ચર્ચા
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી વચ્ચે યોજાશે બેઠક
વિશ્વ આખામાં કોરોના વાયરસને લઈને ફરીથી ચિંતા વધી ગઈ છે, આફ્રિકામાંથી દુનિયાભરમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને અનેક દેશોમાં ચિંતા વધી છે. ભારતમા પણ બધા રાજ્યોની સરકારોને અલર્ટ કરવામાં આવી છે અને એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
આજે બપોર બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં થશે બેઠક
ગાંધીનગરનાં સૂત્રો અનુસાર આજે ગુજરાતમાં આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને ચર્ચા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આજે બપોર બાદ મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં મોટી બેઠક થવાની છે જેમા પૂરેપૂરી શક્યતા છે કે નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે અને તે બાદ તેની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ ખૂબ ઓછા નોંધાઈ રહ્યા છે જેને જોતાં માત્ર આઠ મનપામાં જ નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે અને તેમાં પણ દિવાળીનાં તહેવારાઓમાં છૂટછાટ આપવામાં આવી હતી. જોકે હવે નવા વેરિયન્ટને લઈને સતર્ક થઈ જવાની જરૂર છે ત્યારે રાજ્ય આખાની નજર મુખ્યમંત્રી શું નિર્ણય લેશે તેના પર રહેશે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
WHO એ જાહેર કરી ચિંતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં ખતરાને ખૂબ જ ગંભીર શ્રેણીમાં રાખ્યું છે અને WHO એ કહ્યું છે કે આ સંક્રમણ હવે આખી દુનિયામાં ખૂબ જ તેજીથી ફેલાઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારોમાં આ નવા વેરિયન્ટથી તબાહી પણ આવી શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 13 દેશોમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં ભારત આફ્રિકાના દેશોમાં વેક્સિન સહિતની મદદ કરવા માટે આગળ આવ્યું છે.