સુરતમાં વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે
ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું કરશે ઉદ્ઘાટન
વિવર્સ અને કાપડના વેપારીઓ માટે યોજાયું છે એક્ઝિબિશન
આજે CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે જવાના છે. સવારના 9:30 કલાકે તેઓ સુરત પહોંચશે. જ્યાં તેઓ ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઇએ કે, સુરતમાં વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન માટે CM આજે સુરત જવાના છે.
સુરતમાં કાપડના વેપારીઓ માટે વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022નું આયોજન
મહત્વનું છે કે, આ એક્ઝિબિશન વિવર્સ અને કાપડ વેપારીઓ માટે યોજાયું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, દર્શના જરદોષ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ એક્ઝિબિશનમાં 126 જેટલા સ્ટોલ રહેશે.
ગઇકાલે CMએ ભુજ પહોંચી સ્મૃતિવન મ્યુઝીયમનું નિરીક્ષણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે CM ભૂપેન્દ્ર પટેલે ભુજ પહોંચી સ્મૃતિવન મ્યુઝીયમનું નિરીક્ષણ કર્યું હતું. કારણ કે ભુજના ભુજીયા ડુંગર પાસે આકાર પામેલા સ્મૃતિવન સહિતના 13 જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ માટે આગામી તા. 28ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. જેને લઇને ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમની રૂપરેખા જાણવા ભુજ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જિલ્લા વહીવટી તંત્રની સાથે સ્મૃતિવન તથા કચ્છ યુનિવર્સિટીની સામે આયોજિત જાહેરસભા સ્થળની મુલાકાત લઈને જાતે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. CMએ તંત્ર દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્મૃતિવન મ્યુઝીયમનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સાથે રહેલા જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસેથી PM મોદીના વિવિધ કાર્યક્રમ અંગે જાતે માહિતી મેળવી હતી. બાદમાં જાહેરસભા સ્થળની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.