જામનગરના ભૂચરમોરી મેદાન ખાતે આજે ઐતિહાસિક શૌર્ય કથાનો પ્રારંભ થયો હતો. જે મેદાનમાં કથા શરુ થઇ છે તે મેદાનમાં સ્થાનિક રાજવીઓએ અકબરની સેના સાથે યુદ્ધ કરી બલિદાનો આપ્યા હતા. ત્યાં આજે CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
જામનગરના ધ્રોલ ખાતે શૌર્ય કથા સપ્તાહનો ત્રીજો દિવસ
CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
સ્થાનિક રાજવીઓએ અકબરની સેના સામે ભીડી હતી બાથ
ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથામાં સહભાગી થઈ શહીદોને વિરાંજલી આપી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે ઈતિહાસના પ્રસંગો વાગોળ્યા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાન વીરો - યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે. દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ઘડી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્ર ધર્મ છે. ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પુરે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથામાં સહભાગી થઈ સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી હતી તથા 'આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કર્યું હતું. pic.twitter.com/45uCk8MgPZ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અપ્રતિમ શૌર્ય, બલિદાન, સાહસ અને પરાક્રમની ઘટના એટલે જામ સતાજીની આગેવાનીમાં લડાયેલું ભુચરમોરીનું યુદ્ધ.કાઠીયાવાડના કુરુક્ષેત્ર સમાન ભૂચરમોરીના યુદ્ધમાં આશરા ધર્મ નિભાવવાને કાજે અનેક ક્ષત્રીયો અહીં શહીદ થયા હતા.
સત્ય, ન્યાય અને ધર્મ માટે લડવાની આપણી ઉજળી પરંપરા રહી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ જામ રાવલ, જામ સત્તાજી,જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા અળભંગ, જામ ઉન્નડ વગેરે શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી હતી.
આશરા ધર્મનો અજોડ ઇતિહાસનું થયું વિમાચન
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીની સ્મૃતિમાં તા.૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે ત્યારે ભારત માં ના સપૂત એવા વાજપેયીજીના શૌર્યને પણ મુખ્યમંત્રીએ યાદ કર્યું હતું.વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે. ભારતમાતાના આવા વીર, સાહસી અને પરાક્રમી સપૂતોની કથાઓનું વાંચન, ગાયન અને રસપાન થતું જ રહેવું જોઇએ તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, વગેરેએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું તેમજ મુખ્યમંત્રીને આવકારી શૌર્યકથા સપ્તાહની રૂપ રેખા રજૂ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડો.જયેંદ્રસિંહ જાડેજા લિખિત 'આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કર્યું હતું.તેમજ તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ
આજથી પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ. રાજ ધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.
બાદશાહ મુઝફર શાહ આવ્યો સૌરાષ્ટ્રના રાજવીના શરણે
વિક્રમ સંવત 1629નો એ દિવસ. દિલ્હીમાં ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કરી લીધું. અકબરે મુઝફર શાહને કેદ કરી દિલ્હી લઇ ગયો. મુઝફર શાહ અકબરની કાળી કોટડીમાં બંધ હતો. પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફર શાહ ભાગી છૂટ્યો. અકબરને ખબર મળ્યા કે મુઝફર શાહ ભાગી છૂટ્યો છે. તો તેણે પોતાનું આખુય લશ્કર મુઝફરને પકડવા માટે પાછળ દોડાવ્યું. પણ મુઝફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો.
અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફર શાહ રણઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓની શરણે ગયો. પણ કોઈએ આશરો ન આપ્યો.છેવટે મુઝફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તેતો ક્ષત્રિયનો ધર્મ છે. જામસતાજીએ મુઝફર શાહને શરણ આપ્યું. .
જામનગરના રાજવી જામસતાજીએ આપ્યું શરણ
એક તરફ મુઝફર શાહને જામસતાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું. બીજી તરફ દિલ્લીના બાદશાહના સિપાહીઓ મુઝફરને શોધવા માટે ગામે ગામે ખૂંદી રહ્યા હતા. .ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મુરઝા અઝીઝને જાણ થઈ કે જામસતાજીએ મુઝફરને આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું. .અને જામસતાજીને ફરમાન કર્યું કે મુઝફર શાહ અમને સોંપી દો. પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો ?
ભુચરમોરીના મેદાનમાં જામ્યું યુદ્ધ
જામસતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. જામસતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેનાં હાકેમો ક્રોધથી લાલચોળ થઇ ગયા. અને ત્યારબાદ ભિષણ યુદ્ધના મંડરાણ થયા. ધ્રોલ પાસે ભુચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામસતાજીની સેના બાથ ભિડવવા માંડી. ક્ષત્રિયોની શૌર્ય શક્તિ સામે બાદશાહે નતમસ્તક થવું પડ્યું હતું. અને મંત્રણા માટે આજીજી કરવી પડી હતી.
જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલાએ જામસતાજીને કર્યો સપોર્ટ
પણ પેલી કહેવત છે ને ઘર કા ભેદી લંકા ઢાએ. જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એના મનમાં એવુ થયું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. ફરી યુદ્ધ થયું. ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય બતાવ્યું. બાદશાહની સેના ટપોટપ મરવા લાગી. સતત ત્રણ પ્રહાર આ યુધ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો હતા.
અઢીસો વર્ષ સુધી લોકોએ ન ઉજવી સાતમ
ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સવંત 1648માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ લડાઇ થઇ હતી અને જામનગરના નરબંકાઓએ ક્ષત્રીય ધર્મ માટે શહીદી વ્હોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા.
હજારો શહીદોએ પોતાના જીવ દીધા. અને લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. .ભુચર મોરીની ધાર એક માઇલ લાંબી છે. .આજે ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રીય નરબંકાઓના પાળીયા છે.