20 વર્ષના ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે રાજ્યના નાગરિકોને એક મોટી ભેટ તરીકે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર ₹ 2,646 કરોડનો ખર્ચો કરશે. આ વિશેષ કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત કરવામાં આવશે.
13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ
આપને જણાવી દઈએ કે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. આ ક્રમમાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ફરી એક વખત વિકાસકાર્યો લઇને લોકો સમક્ષ પ્રસ્તૂત થશે. આ વિકાસકાર્યો પૈકી લગભગ 13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
કયા જિલ્લામાં કેટલા કામ..
આ જ ક્રમમાં અમુક અન્ય જિલ્લા જેમ કે ભરૂચ, ડાંગ, મહિસાગર અને આણંદની વાત કરીએ તો આ જિલ્લાઓમાં અનુક્રમે 1600થી વધુ, 600થી વધુ, 500થી વધુ અને 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ 180,160થી વધુ, લગભગ 400 અને 100થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં લોકસભાના સાસંદ ડૉ. કિરીટ સોલંકી, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.