વલસાડના ધરમપુર અને કપરાડામાં કમોસમી મુસીબત વરસી, દરિયો ન ખેડવા સૂચના, દ્વારકા આસપાસના દરિયાકાંઠે 40-50 કીમીની ઝડપે પવન ફુંકાશે
ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી વાદળછાયું વાતાવરણ
ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ઝડપી પવન
દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો
ગઈ કાલે બનસાકાંઠાના અંબાજી અને ડીસા બાદ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધરમપુર અને કપરાડાના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. આ કમોસમી કમઠાણથી ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. માવઠાના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત, દ્વારકા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલના વાતાવરણમાં પલટો
રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે.આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત સુધી તથા પાવાગઢથી લઇને દ્વારકાના દરિયા સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.ચારે તરફ વાદળો વચ્ચે ઘેરાયેલા પાવાગઢ ડુંગરનું આહલાદક દ્રશ્ય સામે આવ્યું હતું.આ સાથે દ્વારકાના દરિયામાં પણ કરંટ અને પવન ફૂંકાવાને કારણે 8થી 10 ફૂંટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.આ સાથે સુરત,પંચમહાલ,છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તથા કયાંક કયાંક હળવો વરસાદ પણ વરસ્યો હતો.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વાતાવરણમાં આવતા ફેરફારથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
23થી 26 જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
ભારતીય હવામાન વિભાગે દરિયા ખેડનારા માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. 23થી 26 જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ઓખા અને સલાયા બંદર પર તંત્રએ સૂચન પણ જાહેર કરી દીધા છે. દરિયા કિનારે 40-50 કીમીની ઝડપે પવન ફુંકાવવાની શકયાતાઑ છે સાથે સરેરાશ 3થી 3.50 મીટર ઊંચા મોજાની પણ શક્યતા છે.
સાવચેતીના ભાગ રૂપે તંત્રએ દરિયાકાંઠા વિસ્તારો અલર્ટ કરી દીધા છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતના દરિયામાં 40 થી 50 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.3 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે