કોલકાતામાં મહાકાળી માતાનું એક એવું મંદિર છે જે કાળીમાતાના અન્ય મંદિર જેવું જ હોવા છતાં પણ અલગ છે. આ મંદિરમાં અનોખો પ્રસાદ ચઢાવવામાં આવે છે. અહીં આવતા મોટાભાગના ભક્તો નૂડલ્સ ચોપ્સી ભાત અને શાકભાજી ચડાવે છે. અહીં દર્શનાથે આવતા મોટાભાગના લોકોમાં ચીની લોકોનો સમાવેશ થાય છે. કોલકાતાનું હૃદય કહેવાતા તંગરા વિસ્તારમાં ભારતીય ચાઇના ટાઉન આવેલું છે. જ્યાં કાળી મંદિર આવેલું છે.
આ મંદિર બે સંસ્કૃતિમાં સદ્ભાવ વધારે છે. કાળી પૂજાના દિવસે ચીની લોકો પણ ભારતીય પાડોશીઓ સાથે મળીને કાળી પૂજામાં ભાગ લેવા માટે એક દિવસ કામમાં રજા રાખીને મંદિરના પ્રાંગણમાં એકઠા થાય છે. આ મંદિરના પંચાવન વર્ષના ઇન્ચાર્જ કહે છે કે ''કાળી મંદિરમાં પૂજા માટે લોકોમાં જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. કેટલાક લોકો સફાઇ તો કેટલાક ફૂલ અને મીઠાઇની જવાબદારી સંભાળે છે. માતાની પૂજા કરવા માટે રોજ પંડિતજી આવે છે. જે બંને સમયની આરતી કરે છે.''
આ મંદિરનું નિર્માણ આશરે 12 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. એક દંતકથા અનુસાર 60 વર્ષ પહેલા ઝાડની નીચે 2 કાળા પથ્થર હતા. સ્થાનીક લોકો આ પથ્થરની પૂજા કરતાં હતાં. ચાઈનીઝ લોકો પણ આ જોઇ પૂજા કરતાં થયા. ચીનના એક દંપતિનો દીકરો બીમાર થયો અને માતા આ ઝાડની નીચે અનેક દિવસો સુધી રહીને પ્રાર્થના કરતી રહી. જેથી તેમનું સંતાન ઠીક થઇ ગયુ. આ કારણે જ ચીનના સમુદાયમાં માતા પ્રતિ આસ્થા જાગી અને મંદિરમાં પૂજા કરવાની શરૂ થઇ.
કાળીમાતાની બે મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. અહીં રહેતા દરેક ચાઇનીઝ પરિવાર આ મંદિરમાં ડોનેશન આપે છે. દિવાળી પર ચીની સમુદાયના આશરે 2000 લોકો પૂજા માટે એકઠા થાય છે. મંદિરમાં રીત રિવાજથી પૂજા કરવામાં આવે છે. જ્યારે ચીની સમુદાય મીણબત્તી પ્રગટાવે છે. આ ઉપરાંત ચાઇનીઝ ધૂપ અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મંદિરમાંથી અલગ જ પ્રકારની સુગંધ આવે છે.