નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોનું આંદોલન શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આંદોલનને કારણે ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી-નોઈડા સ્થિત ચિલ્લા બોર્ડર પર દેખાવો શરૂ કર્યા હતા. આને કારણે પોલીસે નોઈડા, ગાઝિયાબાદથી દિલ્હી જતા ટ્રાફિકને અટકાવ્યો છે. દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, આ નિર્ણય પસાર થતા લોકોની સુરક્ષાને કારણે લેવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન ગરમાયું
ખેડૂતો થયા નારાજ
દિલ્હી-નોઈડા સ્થિત ચિલ્લા બોર્ડર ફરી શરૂ કર્યા દેખાવ
ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે બે દિવસ પહેલા ખેડૂત સંગઠનને કૃષિ મંત્રાલય તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો હતો, સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી વાત કરવા માંગે છે. જો ખેડૂતો વાત કરવા માંગતા હોય, તો તારીખ નક્કી કરો અને અમને જણાવો કે અમે વાટાઘાટ માટે તૈયાર છીએ.
ગાઝિયાબાદમાં પણ જામ
આપને જણાવી દઇએ કે, મંગળવારે સવારે ગાઝિયાબાદ-ઈન્દિરાપુરમ NH 9 પર દેખાવો શરૂ થયા. જેના કારણે લાંબો સમય જામ રહ્યો હતો. બાદમાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન કોઈ ઉગ્ર પ્રદર્શન થયાના કોઈ સમાચાર નથી.
અગ્રણીઓ લઇ શકે છે મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે 40 સંગઠનોને સંબોધિત કરતો એક પત્ર લખ્યો છે જેમાં વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારે એમ પણ કહ્યું કે ખેડૂતો જે તારીખ કહેશે તે દિવસે મંત્રણા કરવામાં આવશે. એવામાં આજની બેઠકમાં ખેડૂત અગ્રણીઓ ભેગા થઇને આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને માનવામાં આવી રહ્યું છે કે તે મોટો નિર્ણય લઇ શકે છે.
ખેડૂતોની આ બેઠકમાં સરકાર સાથે વાત કરવી કે નહીં તેના પર નિર્ણય લેવાશે કારણ કે ઘણા અગ્રણીઓ એમ પણ કહી રહ્યા છે કે આ પ્રસ્તાવમાં કશું નવું નથી સરકાર કંઇક નક્કર પગલાં ભરે તો ખેડૂતો તૈયાર થાય.
સરકારને સમર્થન કરતા ખેડૂતો સાથે પણ બેઠક
નોંધનીય છે કે ખેડૂત અગ્રણી રાકેશ ટિકેતે કહ્યું હતું કે અમે સરકારને સમર્થન આપી રહેલા ખેડૂત સંગઠનો સાથે પણ મુલાકાત કરીશું. અને તેમનાથી વાત કરીશું કે તેમને એવો તો કયો ફાયદો આ કાયદામાં દેખાઈ રહ્યો છે કે તે સરકારનું સમર્થન કરી રહ્યા છે.
ગ્રુપમાં ઉપવાસ કરશે ખેડૂતો
ખેડૂતોએ પોતાનું આંદોલન લાંબું ચલાવવાની જાહેરાત પહેલાં જ કરી દીધી હતી, પરંતુ હવે ધીમે ધીમે ઘણા તબક્કા સામે આવી રહ્યા છે. ખેડૂતોએ ફરી વખત એક દિવસીય ઉપવાસ રાખવાનું નક્કી કર્યું છે. ખેડૂતોએ પહેલાં પણ એક દિવસીય ઉપવાસ કર્યા હતા. તે લગભગ એક ડઝનથી વધુ સંગઠન દ્વારા બોલાવાશે. ખેડૂતોએ રિલે ઉપવાસનું આયોજન કર્યું છે. સોમવારે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના ઉપવાસ સમાપ્ત થશે ત્યારે મંગળવારે એક નવું ગ્રૂપ ઉપવાસ કરશે.
૨૩ ડિસેમ્બરે કિસાન દિવસ છે. આવા સંજોગોમાં આંદોલનકારી ખેડૂતોએ મોટી તૈયારી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે આ દિવસે લોકો પોતાના ઘરે બપોરનું જમવાનું ન જમે અને ખેડૂતોના આંદોલનનું સમર્થન કરે. ખેડૂતોએ પહેલાં પણ દેશભરના નેશનલ હાઇવેને ટોલમુક્ત કરવાની વાત કહી હતી. હવે ૨૫ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર સુધી હરિયાણાનાં તમામ ટોલ નાકાં સંપૂર્ણ રીતે મુક્ત રહેશે અને ખેડૂતોના હવાલે રહેશે. આ દરમિયાન કોઇએ ટોલ આપવાની જરૂર નહીં પડે.