છોટા ઉદેપુરઃ ગુજરાતમાં પાણીનાં પોકાર વચ્ચે છોટા ઉદેપુરનાં જેતપુર તાલુકામાં એકાએક કુદરતની કરામત જોવા મળી હતી. જયાં સરકાર પાણી ન આપી શકી ત્યાં અચાનક જ પાણીનું ઝરણું ફૂટી નીકળતાં લોકોમાં ભારે કુતુહલતા સર્જાઇ હતી. સુકા ભટ્ટ વિસ્તાર એવા રાયપુર ગામમાં અચાનક જ ઝરણું ફૂટી નીકળતાં સ્થાનિકોમાં ભારે ખુશી જોવા મળી હતી.
ત્યારે એવાં જ સમયે ખેડૂતોએ એન્જિનથી પાણી લેવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અહીંની કેનાલ સુકી હોવાથી ખેડૂતોનો મહામુલો પાક સુકાઇ ગયો હતો. મહત્વનું છે કે રાયપુરમાં સિંચાઇનાં પાણી અને પીવાનાં પાણીની ગંભીર સમસ્યા છે. જો કે અચાનક જ કુદરતની કરામત જોવા મળતાં ખેડુતોનાં પાકને જીવતદાન મળશે.
મહત્વનું છે કે પાવી જેતપુર તાલુકાનું રાયપુર ગામ કે જની નજીકથી સુખી ડેમની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં સિંચાઇનું પાણી બંધ કરાતાં કેનાળો સાવ સુક્કી ભટ્ટ થઈ જવા પામી છે. ગામનાં કોતરો અને કૂવા સુકાઈ જવાં પામ્યાં છે. આવાં સમયે ગામ લોકો સિંચાઇનાં પાણીનું તો શું પીવાનાં પાણી માટે પણ વલખાં મારી રહ્યાં છે.
આ વિસ્તારનાં લોકોમાં પાણી માટે નિરસા વ્યાપી છે ત્યારે જ આ વિસ્તારનાં લોકો માટે એક આશાનું કિરણ જોવા મળ્યું. રાયપુરનાં સિમ વિસ્તારમાં અચાનક જ ઝરણું ફૂટતા લોકોમાં તુરંત આ જગ્યાએ દોડી આવ્યાં અને કુદરતનો તેઓ આભાર માણવા લાગ્યાં. તેઓને એવો અહેસાસ થયો કે સરકાર ભલે તેમની સાથે ન હોય પણ કુદરત તેમની સાથે જ છે.
મહત્વનું છે કે કેનાલ અહીંથી 200 ફૂટ દૂર છે અને 20 દિવસથી કેનાલનું પાણી પણ બંધ છે. કેનાલ સુક્કી ભટ્ટ થઇ ગયેલ છે. આજુબાજુનાં પાકો અડધાં એવાં સુકાઈ ગયાં છે અને અડધા બચી ગયાં છે પણ કુદરકત અમારી સાથે જ છે.