દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન ઈન્ડિગોએ એરપોર્ટ પર ચેક ઈન કરાવવા પર મુસાફરો પાસેથી ચાર્જિસ લેવાનું શરૂ કરી દીધું છે. ઈન્ડિગો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે મુસાફરો એરપોર્ટના કાઉન્ટરથી ચેક ઈન કરશે, તેમણે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે કોવિડ -19ને કારણે એરલાઈન્સને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે સંચાલકો આવક વધારવાના નવા રસ્તા શોધી રહ્યા છે.
દિવાળી પર હવાઈ યાત્રીઓ માટે ખરાબ સમાચાર
હવે એરપોર્ટ પર ચૂકવવો પડશે આ ચાર્જ
કોવિડ -19ને કારણે એરલાઈન્સને ભારે નુકસાન થઈ રહ્યું છે
ઈન્ડિગો એરલાઈને સ્પષ્ટ કર્યું છે કે જે મુસાફરો કંપનીની વેબસાઇટ અથવા મોબાઈલ એપ દ્વારા ચેક ઈન કરે છે તેમણે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. સાથે જ, કંપનીનું કહેવું છે કે વેબ-ચેક ઈનને પ્રોત્સાહન આપવા માટે તે મુસાફરોને કાઉન્ટર ઉપર ચેક-ઈન કરવાનો ચાર્જ લઈ રહી છે.
ઈન્ડિગો મુજબ દિવાળી પર 60 ટકા ફ્લાઈટ્સ કાર્યરત થશે
હવાઈ મુસાફરોની સંખ્યા અનુસાર દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોને અપેક્ષા છે કે કોવિડ -19 અગાઉની તુલનામાં દિવાળી સુધીમાં 60 ટકા ફ્લાઈટ્સ કાર્યરત થશે. તમને જણાવી દઈએ કે દેશમાં લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ હતો. જ્યાકે અનલોક હેઠળ 25 મેથી ડોમેસ્ટિક રૂટ્સ પર મંજૂરી મળી હતી.
ઈન્ડિગોના જણાવ્યા મુજબ લોકડાઉન પછી જ્યારે દેશમાં ઘરેલુ રૂટ્સ પર ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે બહુ ઓછાં મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ દરમિયાન કંપનીના ઓગસ્ટ મહિનામાં માત્ર 32 ટકા ફ્લાઇટ્સ કાર્યરત હતી. જ્યારે કંપની આગામી બે મહિનામાં 60 ટકા સુધીની ફ્લાઇટ્સ કાર્યરત રહેવાની અપેક્ષા રાખે છે.