દેશભરમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં લોકડાઉન થયું તે પહેલાં જ તમામ ટીવી શોઝનું શૂટિંગ બંધ કરી દેવાયું હતું અને હાલની પરિસ્થિતિને જોતાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી જોડાયેલી તમામ સંસ્થાઓએ સરકાર તરફથી સૂચના મળ્યા બાદ જ શૂટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
દેશમાં 3 મે સુધી લોકડાઉન
હાલ ટેલિવિઝન શોઝનું શૂટિંગ બંધ છે
આ તારીખથી ડેઈલી સોપનું શૂટિંગ થશે શરૂ
વર્તમાન પરિસ્થિતિમાં દરેકને આશા છે કે, 3 મેના રોજ જ્યારે લોકડાઉન સમાપ્ત થશે ત્યારે તેમને શૂટિંગ કરવાની થોડી છૂટ મળશે. ઈન્ડિયન ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ટીવી વિંગના ચેરમેન જેડી મજેઠિયાને પણ એવી આશા છે. તેમના મુજબ, કાઉન્સિલ સરકારને સંપૂર્ણ સુરક્ષા સાથે શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપવાની અપીલ કરશે.
આ અંગે જેડી મજેઠિયાએ કહ્યું કે 'વડા પ્રધાને પોતાના તાજેતરના સંબોધનમાં જાહેરાત કરી હતી કે દૈનિક વેતન મેળવનારાને ધ્યાનમાં રાખીને કેટલાક ઉદ્યોગો તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. તે પરિસ્થિતિ કેવી રીતે સુધરે છે તેના પર નિર્ભર રહેશે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી ઘણાં બધાં દૈનિક કર્મીઓ જોડાયેલાં છે. જેથી અમે આ અંગે સરકારનો સંપર્ક કરવાનો વિચાર કરી રહ્યા છીએ. અમે ઓછાં લોકો સાથે કેટલાક ડેઈલી શોપનું શૂટિંગ શરૂ કરી શકીએ છીએ.
મજેઠિયાએ વધુમાં કહ્યું કે, હાલ અમને લાગે છે કે અમે 3 મે પછી શૂટિંગ કરી શકીશું. જોકે, અમારા આ નિર્ણય બાદ કોઈના પણ સ્વાસ્થ્ય સાથે કોઈ જ બેદરકારી કરવામાં નહીં આવે. અમે સેનિટાઈઝ કરેલી જગ્યાએ સંપૂર્ણ સાવધાની સાથે અને આવશ્યક અંતર મેન્ટેન કરીને 4 મેથી શૂટિંગ શરૂ કરીશું તો ધીરે-ધીરે અમારા ઉદ્યોગની શરૂઆત કરી શકીશું. હાલ એક્શન પ્લાન પર કામ ચાલી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ,શૂટિંગ બંધ થવાને કારણે ટીવી ઉદ્યોગને સતત નુકસાન થઈ રહ્યું છે. નવા એપિસોડના અભાવને કારણે ટીવી પર 'રામાયણ', 'મહાભારત', 'ખિચડી' અને 'સારાભાઇ વર્સિસ સારાભાઇ' જેવા જૂના શો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.