શહેરમાં રોગચાળો બેકાબૂ થયો છે છતાંય તંત્ર હાથ પર હાથ ધરી બેઠું છે. ગોતા, થલતેજ અને બોડકદેવ ચિકનગુનિયાના ‘હોટસ્પોટ’
અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો વધ્યા
ગોતા, થલતેજ અને બોડકદેવ ચિકનગુનિયાના ‘હોટસ્પોટ’
તંત્રની રોગચાળો ડામવાની કામગીરી સામે મોટા સવાલ
અમદાવાદ ભલે સ્માર્ટ સિટીને લગતા ઢગલાબંધ એવોર્ડ લઈ આવ્યું છે કે પછી આગામી દિવસોમાં લઈને આવશે, પણ ચોમાસાના દિવસોમાં હજારો અમદાવાદીઓને વિવિધ સમસ્યાઓથી ધોળે દિવસે તારા દેખાઈ જાય છે તેમાં કોઈ વાદવિવાદને અવકાશ રહેતો નથી. કોરોનાની સેકન્ડ વેવના પ્રકોપથી થાકેલા લોકો હવે થોડાક હળવા બન્યા છે અને તેમના ચહેરા પર ફરી રોનક આવી આવી છે તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ આતંક ફેલાવ્યો છે.સરખેજ, જોધપુર, રાણીપ અને નવરંગપુરામાં ચિકનગુનિયાનો કહેરઃ ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામ્: અઠવાડિયામાં એક વાર રોગચાળા સંદર્ભે મીડિયા સાથે ચર્ચા કેમ કરાતી નથી તેવો શાસક પક્ષમાં ચર્ચાતો પ્રશ્ન
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ભરડો
શહેરનો પૂર્વ વિસ્તાર ડેન્ગ્યુથી ત્રાસી ઊઠ્યો છે. લાંભા, વટવા, ઇસનપુર, રામોલ, હાથીજણ, ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા, વસ્ત્રાલ, ઓઢવ જેવા વોર્ડમાં ડેન્ગ્યુના દર્દીઓ રાડ પાડી ઊઠ્યા છે તો ચિકનગુનિયાએ પશ્ચિમ અમદાવાદને તેની લપેટમાં લીધું છે. બીજા અર્થમાં સમગ્ર અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ પકડ જમાવતાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલ, ખાનગી દવાખાનાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીથી ઊભરાઈ રહ્યાં છે.
અમદાવાદના આ વિસ્તારો ‘હોટસ્પોટ’
પશ્ચિમ અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના અજગરી ભરડામાં ગોતા, થલતેજ અને બોડકદેવ વોર્ડ આવી ચૂક્યા છે. આ ત્રણે વોર્ડમાં છેલ્લા દોઢ મહિનામાં ચિકનગુનિયાના ૧૦૦થી વધુ સત્તાવાર કેસ નોંધાઈ ચૂક્યા છે. અન્ય બે વોર્ડ ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં ૩૦થી વધુ સત્તાવાર કેસ થયા છે. આમ આખા ઉત્તર-પશ્ચિમ ઝોન પર ચિકનગુનિયાનો કાળો પડછાયો પ્રસર્યો છે.જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જોધપુર અને વેજલપુરમાં પણ ચિકનગુનિયાના દર્દી વધતા જાય છે. બોડકદેવ, થલતેજ અને જોધપુર વોર્ડમાં વહેંચાયેલા બોપલ-ઘુમાવાસીઓ પણ ચિકનગુનિયાના ઉપદ્રવથી પરેશાન છે.
શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનના રાણીપ, નવરંગપુરા અને નવા વાડજમાં ચિકનગુનિયા ગંભીર બનતો જાય છે. અન્ય વોર્ડમાં પણ ચિકનગુનિયાની સ્થિતિ હાશકારો અપાવે તેવી નથી. ફક્ત સ્ટેડિયમ અને વાસણામાં કંઈક અંશે ઓછા કેસ છે.ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન એમ પશ્ચિમ અમદાવાદના આ ત્રણ ઝોનમાં ચિકનગુનિયાના ૬૦ ટકા સત્તાવાર કેસ નોંધાયા છે. મધ્ય ઝોનના શાહીબાગ, દરિયાપુર, અસારવા અને શાહપુર વોર્ડમાં પણ ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા છે.
ચિકનગુનિયાના ૫૦૦થી વધુ સત્તાવાર કેસ
ચોમાસાના છેલ્લા બે મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શહેરમાં તંત્રના ચોપડે ચિકનગુનિયાના ૫૦૦થી વધુ સત્તાવાર કેસ ભલે નોંધાયા હોય, પરંતુ બિનસત્તાવાર રીતે ત્રણથી પાંચ હજાર કેસ થઈ ચૂક્યા છે. બીજી તરફ મ્યુનિ. હેલ્થ વિભાગ મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ અમદાવાદમાં સતત વધી રહ્યો હોઈ અઠવાડિયામાં એક વાર મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે તેમ શાસક ભાજપ પણ ઇચ્છે છે. આજે મળનારી હેલ્થ કમિટીમાં ચેરમેન ભરત પટેલ આ મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાની અઠવાડિક અખબારી યાદી પણ બંધ કરાઈ છે.
તંત્રની રોગચાળો ડામવાની કામગીરી સામે મોટા સવાલ
દર ચોમાસામાં અમદાવાદીઓને રોડ પરના ખાડા અને ભૂવા ભયભીત કરે છે. હવે વરસાદ બંધ થયો હોઈ મ્યુનિ. તંત્ર દ્વારા યુદ્ધ સ્તરે હજારો ખાડા પૂરવાનું કામ હાથ ધરાયું છે. તેમ છતાં વરસાદની ઋતુમાં સ્માર્ટ સિટી અમદાવાદ ખાડા સિટી-ભૂવા સિટીમાં ફેરવાઈ જાય છે તે કડવા સત્યનો લોકોએ સ્વીકાર કરી લીધો છે. વરસાદી પાણીથી કલાકો સુધી જળબંબાકાર જેવી ઠેર ઠેર સર્જાતી સ્થિતિથી પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની અસરકારકતા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની વાસ્તવિક ક્ષમતા સામે પણ અણિયાળા પ્રશ્નો ઊઠે છે. વરસાદથી ફક્ત આ સમસ્યાઓ નથી સર્જાતી, પરંતુ કાદવ-કીચડ, ગંદકી વગેરેથી મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાય છે. તંત્ર છેલ્લાં કેટલાંક વર્ષથી મચ્છરજન્ય રોગચાળા પર સમયસર કાબૂ લાવવામાં સફળ નીવડ્યું નથી, જેના કારણે હજારો લોકો આ રોગચાળાનો ભોગ બને છે. હવે જો ચિકનગુનિયાની વાત કરીએ તો ડેન્ગ્યુ બાદ ચિકનગુનિયાએ જે રીતે આતંક મચાવ્યો છે તેનાથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. પણ તંત્ર....