CAA વિરૂદ્દ અમદાવાદના શાહઆલમમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. શાહઆલમ વિસ્તારમાં પથ્થરબાજોએ પોલીસને નિશાન બનાવી તેના પર પથ્થરમારો કર્યો હતો. જોકે પથ્થરમારા બાદ પોલીસે લોકોને હટાવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. આ દરમિયાન 19 જેટલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓની કમિશનરે મુલાકાત લીધી હતી.
પોલીસ કમિશનરે ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓની કરી મુલાકાત
19 જેટલા પોલીસકર્મીઓને પહોચી છે ઘર્ષણ દરમિયાન ઈજા
CCTV ફૂટેજ અને વીડિયો ફૂટેડના આધારે શખ્સોને પકડશે
અમદાવાદના શાહઆલમ, રખીયાલ, ચંડોલા તળાવ, શિવરંજની ઝાંસીની રાણી નજીક, ગોમતીપુર, લાલ દરવાજા સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ થયો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ વિરોધ હિંસામાં ફેરવાયો હતો. આ દરમિયાન ઇજાગ્રસ્ત 19 જેટલા પોલીસ કર્મીઓને એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને મળવા માટે એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા.
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, દોષિત શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી ફેલાવનારા સામે કાર્યવાહ થશે. પોલીસ CCTV ફૂટેજ અને વીડિયો ફૂટેજના આધારે પથ્થરબાજો અને હિંસક પ્રદર્શનકારીઓને પકડશે. શાહપુર, ઈસનપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધવામાં આવશે. શાહઆલમમાં હાલ તકેદારીના ભાગરૂપે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી 32થી વધુ લોકોની અટકાયત કરી છે. ઝડપાયેલા શખ્સોને ઈસનપુર પોલીસ ચોકી રાખવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલવાનાર સામે કાર્યવાહી થશે. અમદાવાદ પોલીસ કમિશનરે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. મને વિશ્વાસ છે કે હવે શાંતિ જળવાઈ રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓની તબિયત સારી છે. 8 જેટલા લોકોને હજુ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કેટલાક આરોપીઓ પકડાયા છે ત્યારે કેટલાકને ઝડપી પાડવામાં આવશે.