ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધ
વેપારીઓનું સ્વૈચ્છિક બંધના એલાનને સમર્થન
30 એપ્રિલ સુધી 3 વાગ્યા બાદ માર્કેટ બંધ રહેશે
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્યના જુદા જુદા શહેરોમાં વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન લગાવવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા ચર્ચા કર્યા બાદ વેપારીઓ દ્વારા બાદ બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં વેપારીઓ બંધ પાળી રહ્યા છે.
વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધની શરૂઆત
કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 3 વાગ્યા પછી બંધની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, બલોલનગર, નરોડા, સરદાર નગર, સિંધી માર્કેટ બંધ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ દ્વારા બંધના સ્ટીકર મારવામાં આવી રહ્યા છે. બંધના એલાનને મોટા ભાગના વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે
અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઇ છે. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે.
8 મનપા વિસ્તારમાં લાગી શકે છે લોકડાઉનઃ સૂત્ર
રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ગુજરાતમાં પણ લોકડાઉન અંગે વિચાર કરી રહી છે જેમાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવો ગણગણાટ છે કે 8 મનપાઓમાં કડક લોકડાઉન અમલી બનશે. સરકારમાં લોકડાઉન અંગે વિચારણા અંગે ચાલી રહી છે. રાજ્યમાં 8 મનપા વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં લોકડાઉન લાગુ કરાયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં લોકડાઉન લાગી શકે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.