બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટપણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે. મોદી અને જોન્સન વચ્ચેની વાતચીતમાં કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગીદારીના મહત્વતા પર ચર્ચા કરવામાં આવી છે.
જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં ગત મહીને પદભાર ગ્રહણ કર્યા બાદ વિશ્વના ઘણા નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે. મોદી અને જોન્સનની વાતચીત પણ આ શ્રેણીનો હિસ્સો હતો. બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ ફોન કોલની જાણકારી આપતા કહ્યું, ' વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે બ્રિટેનનું માનવું છે કે કાશ્મીર એક એવો મુદ્દો છે કે જેને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય સ્તરે ઉકેલવો જોઇએ. એમણે વાર્તા દ્વારા મામલાના ઉકેલના મહત્વ પર ભાર આપ્યો.'
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કર્યાના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડા પ્રધાન પીએમ બોરિસ જોન્સન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં વડા પ્રધાને સૌ પહેલાં બોરિસ જોન્સનને વડા પ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યાં હતાં. ત્યાર બાદ મોદીએ લંડનમાં ભારતીય મિશનની બહાર સ્વાતંત્ર્યદિન સમારોહમાં ભાગ લઇ રહેલા ભારતીયો સાથે થયેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તાજેતરમાં લંડનમાં હિંસાની આ ઘટના પર પીએમ બોરિસ જોનસને ખેદ વ્યક્ત કર્યો હતો અને તેમણે ભારતીય હાઇ કમિશનને તમામ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત મોદીએ ભારત-બ્રિટનના સંબંધો વધુ સુદૃઢ કરવા પર ભાર મૂક્યો હતો અને વાતચીતમાં આતંકવાદ સામે લડવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
બંને નેતાઓએ આ મુદ્દે સંમતિ વ્યક્ત કરી હતી કે બંને દેશોને આજે દુનિયા સામે જે કેટલાય પડકારો ઊભા થયા છે તેનો અસરકારક રીતે સામનો કરવા માટે એકસાથે યોગદાન આપવાની જરૂર છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદે ભારત અને યુરોપ સહિત દુનિયાના મોટા ભાગના દેશોને પરેશાન કરી મૂક્યા છે. તેમણે કટ્ટરતા, હિંસા અને અસહિષ્ણુતાથી ઊભા થતા ખતરાને દૂર કરવા માટે અસરકારક પગલાંના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પીએમ મોદીએ નિહિત સ્વાર્થ માટે પ્રાયોજિત એજન્ડા ચલાવી રહેલા લોકો પ્રત્યે જોન્સનનું ધ્યાન ખેંચ્યું હતું કે જેઓ આ માટે હિંસાનો ઉપયોગ કરી રહ્યા છે. નિવેદન અનુસાર વડા પ્રધાન જોન્સને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો હતો અને હાઇ કમિશન, તેના કર્મચારીઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શકય તમામ પગલાં ભરવા ખાતરી આપી હતી.