એક દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા બે મહિના બાદ સાજા થયેલા લોકો કરતા વધારે થતા કેન્દ્ર સરકારે 8 રાજ્યોને એલર્ટ આપ્યું છે.
8 રાજ્યોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા
આ રાજ્યોમાં પોઝિટીવિટી રેટ સતત વધી રહ્યો છે
કેન્દ્ર સરકારે 8 રાજ્યોને સચેત રહીને કોરોનાના ઉપાયો કરવાનું જણાવ્યું
અરુણાચલ, મણિપુર, કેરળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, સિક્કીમ અને ઓડિશા સામેલ
8 રાજ્યોમાં પોઝિટીવિટી રેટ વધી રહ્યો છે
આ 8 રાજ્યોમાં પોઝિટીવિટી રેટ વધી રહ્યો છે. સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશ, મણિપુર, કેરળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, સિક્કીમ અને ઓડિશાને પત્ર લખીને કોરોનાના કેસોમાં સતર્ક રહેવાનું જણાવ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે લખેલા પત્રમાં 8 રાજ્યોને વધી રહેલા કેસોને અટકાવવા ત્વરિત પગલાં ભરવાનું જણાવ્યું છે.
કન્ટેનમેન્ટ ઝોનની પાસે વેક્સિનેશન સેન્ટર શરુ કરવાનું જણાવાયું
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે ઓડિશાના મુખ્ય સચિવને જણાવ્યું કે ચિંતાની વાત છે કે ઓડિશાના ત્રણ જિલ્લામાં કોરોના પોઝિટીવિટી રેટ 10 ટકા કરતા વધારે રહ્યો છે. નુઆપાડા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં પોઝિટિવીટી રેટમાં ઝડપથી વધારો થયો છે. તે ઉપરાંત તમામ રાજ્યોને વેક્સિનેશનમાં ઝડપ લાવવાનું પણ જણાવી દેવાયું છે. કન્ટેનમેન્ટ ઝોનની પાસે પણ વેક્સિનેશન સેન્ટર સ્થાપિત કરવાનું જણાવી દેવાયું છે.
દેશમાં કોરોના મહામારીની રફ્તાર ધીમી પડી ગઈ છે. પરંતુ કોરોનાના દૈનિક કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 45,892 નવા દર્દીઓ નોંધાયા છે અને 817 લોકોના સંક્રમણના કારણે જીવ ગયા છે. દિલ્હી સહિત મોટાભાગના રાજ્યોમાં પ્રતિબંધોમાંથી છૂટછાટ આપવામાં આવી રહી છે. દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બાદ હવે લેમ્બડા વેરિઅન્ડનો પણ એક દર્દી નોંધાયો છે.
24 કલાકમાં સાજા થયેલા દર્દીઓથી વધુ નવા કેસ
દેશમાં કોરોનાના દૈનિક કેસમાં સતત બીજા દિવસે વધારો થયો છે. ગયા 24 કલાકમાં 44,291 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે જ અત્યાર સુધી 2,98,43,825 દર્દી કોરોના વાયરસને માત આપવામાં સફળ રહ્યા છે. જણાવી દઈએ કે આજે સાજા થનાર દર્દીઓની તુલનામાં નવા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે.