બોટાદ: નગરપાલિકા દ્વારા કચરો કરનાર તેમજ ગેરકાયદેસર બાંધકામો પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. ત્યારે બોટાદના હાર્દ સમા ટાવર રોડ ઉપર આવેલી પંચવટી હોટલના કર્મચારીઓ નદીમાં કચરો ફેંકતા પકડાઈ જતા નગરપાલિકાના ચીફ દ્વારા હોટલને સીલ કરવામાં આવી હતી.
પંચવટી હોટલ સીલ મરાતા શહેરના રેસ્ટોરેન્ટ માલીકો પણ દોડતા થઇ ગયા હતા. કાયદાનું પાલન નહીં કરનારને દંડ અને સીલ મારવાના નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર પાંચાભાઇ માળીના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અંગેને લોકોને જાગૃત કરી રહ્યા છે અને ૧૫ સપ્ટેમ્બરથી સ્વચ્છતા અંગેના કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે બોટાદના ટાવર રોડ પર આવેલ નામાંકિત પચવટી હોટેલમાં સ્ટાફ દ્વારા કચરો જાહેરમાં નાંખતા હોય અને ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસર જોઈ જતા તાત્કાલિક નગરપાલિકાના સ્ટાફને હોટેલ ખાતે મોકલી આપેલ.
આ સાથે જ હોટેલને જાહેરમાં કચરો ફેંકવા બદલ સીલ મારી દેવામાં આવેલ. હોટેલ સીલ મારી દેતા અન્ય હોટેલ માલિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ત્યારે જાહેરમાં કચરો ફેંકનાર સામે હવે નગરપાલિકા પગલા લેશું તેવું દેખાય રહ્યું છે. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા હોટેલ માલિકને કોઇપણ જાતની નોટીસ ફટકાર્યા વગર જ સીલ મારી દીધા હતા.