શિવાજી પાર્કમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહ પર બોમ્બે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે બુધવારે સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જાહેર મેદાનોમાં આવા કાર્યક્રમો યોજવાની નિયમિત પ્રક્રિયા ન થવી જોઈએ.
મહારાષ્ટ્ર હાઇકોર્ટે કોઇ અણબનાવ ન થાય તે માટે વ્યક્ત કરી ચિંતા
ન્યાયાધીશ એસ.સી.ધર્માધિકારી અને ન્યાયાધીશ આર.આઇ. છાગલાની ખંડપીઠે કહ્યું હતું કે અન્યથા દરેક વ્યક્તિ આવા કાર્યક્રમ માટે મેદાનનો ઉપયોગ કરવા માંગશે. ઠાકરે ગુરુવારે સાંજે દાદરના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
શિવાજી પાર્ક મેદાનને લઇ હાઇકોર્ટની ચિંતા
કોર્ટ 'વિકમ ટ્રસ્ટ' નામની એનજીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ કિસ્સામાં, સવાલ ઉઠાવ્યા હતા કે શિવાજી પાર્ક રમતનું મેદાન છે કે મનોરંજનનું સ્થળ ?. આ તરફ કોર્ટે કહ્યું, "અમે આવતીકાલના કાર્યક્રમ વિશે કંઇ બોલવા માંગતા નથી. અમે ફક્ત પ્રાર્થના કરી રહ્યા છીએ કે અઘટિત કંઈક ન થાય."
કોર્ટે કહ્યું, "ખરેખર તે (કાર્યક્રમ) એક પરંપરા બની જશે અને ત્યારબાદ દરેક જણ આવા કાર્યક્રમો માટે મેદાનનો ઉપયોગ કરવા માંગશે. આ સંગઠનની જનહિતની અરજીને કારણે વર્ષ 2010 માં ઉચ્ચ ન્યાયાલયે સાયલન્સ જોન જાહેર કર્યો હતો.
કેવી રીતે પલટાઇ બાજી
23 નવેમ્બરની સવારે, ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરીને સમગ્ર દેશને આશ્ચર્યચકિત કરી દીધું હતું. આ સાથે અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ પછી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને નિર્ણય મંગળવારે સવારે સાડા દસ વાગ્યા સુધી અનામત રાખવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં બહુમતી સાબિત કરવી જોઈએ. બહુમતી સાબિત કરવા માટે કોઈ ગુપ્ત મતદાન નહીં થાય અને તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું નિર્દેશન પણ કર્યું હતું. આ નિર્ણય બાદ ગઈકાલે ગૃહમાં બહુમતી સાબિત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ગૃહમાં બહુમતી સાબિત કરીશું. જો કે, અજીત પવારે રાજીનામું ધરીને ફરી શરદ પવારના પક્ષમાં જતા રહેતા ફડણવીસે પણ પત્રકાર પરિષદ યોજીને રાજીનામું ધરી દીધું હતું.