ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે CBSEની બોર્ડની પરીક્ષાની તારીખોને લઈને સરકાર અને બોર્ડમાં મંથન ચાલી રહ્યા હોવાના અહેવાલ છે.
કેન્દ્ર સરકાર અને CBSE બોર્ડ પર પરીક્ષાઓ મુલતવી કરવાનું દબાણ
વિદ્યાર્થી, શિક્ષકો અને વાલી બધા જ લોકો પરીક્ષા પાછી ઠેલવા કરી રહ્યા છે દબાણ
ઘણા બધા રાજ્યોએ પોતાના રાજ્યની પરીક્ષાઓને મોકૂફ કરી
CBSEની પરીક્ષા પર ઉઠી રહી છે માંગ
કોરોના વાયરસની વધતી મહામારીના કારણે CBSE બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પર ફરી ગ્રહણ લાગે તેવું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને હવે રાજનેતાઓ દ્વારા આ મુદ્દે માંગ કરવામાં આવી રહી છે.
મોદી સરકારમાં હલચલ તેજ
દિલ્હીના મીડિયા અહેવાલો અનુસાર મોદી સરકારમાં પરીક્ષા મુદ્દે હલચલ તેજ થઈ ગઈ છે અને ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય તથા CBSE બોર્ડ દ્વારા પરીક્ષાઓની તારીખોને લઈને મંથન શરૂ થઈ ગયું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં આ મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે.
લેવાઈ શકે છે મોટો નિર્ણય
નોંધનીય છે કે ચોથી મેથી આ પરીક્ષાઓ શરૂ થવાની છે જેમાં હવે માત્ર 20 જ દિવસનો સમય બાકી છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતાં માંગ કરવામાં આવી રહી છે કે અત્યારે આ પરિસ્થિતિમાં પરીક્ષાનું આયોજન કરવું એ ઘાતક સાબિત થઈ શકે છે.
ગુજરાતમાં 30 એપ્રિલ સુધી શાળાઓ લોક
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતાં 30 એપ્રિલ સુધી શાળાઓ સહિતના દરેક શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં કરવામાં આવવાની છે જેમાં વાલીમંડળો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવે. આ સિવાય ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા માટે ઑલ વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ થઈ ગઈ
અન્ય રાજ્યોમાં પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશમાં 24 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર જૂન મહિનામાં બોર્ડની પરીક્ષા લેવા માટે વિચાર કરી રહી છે.