ઓગસ્ટ 2018થી લઈને 24 ઓગસ્ટ 2019 સુધીનો સમય ભાજપમાં માટે ખૂબ દુઃખદાયી સમય સાબિત થયો છે. પાર્ટીએ આ ગાળામાં ચૂંટણીઓમાં તો સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તેનાં 5 અનમોલ રત્નોને ખોયાં છે. સ્થાપક સભ્ય અને પક્ષનાં સર્વોચ્ચ નેતૃત્વમાં જેની ગણના થતી તેવાં 5 નેતાઓએ એક વર્ષમાં આ ફાની દુનિયાને અલવિદા કહી છે. ત્યારે ભાજપે ગુમાવેલા આ પંચરત્નોમાં કોનો કોનો સમાવેશ થાય છે અને શું છે તેમની ઉપલબ્ધી જે સદાય દેશમાં તેમની યાદોની સુગંધ પ્રસરાવશે. ત્યારે જોઈએ આ અહેવાલ.
જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.
મેં જી ભર જીયા, મેં મન સે મરું,
લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?
અટલ એટલે અટલ બિહારી વાજપેયી. એક કવિ, એક પત્રકાર, સમાજસેવક અને દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી. વાજપેયી મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક હતાં. રાજકારણ માટે જ સંઘે તેમને જનસંઘમાં મોકલ્યાં હતાં. વાજપેયી જનસંઘનાં વરિષ્ઠ નેતા અને ભાજપનાં ઇષ્ટ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં અંગત સાથી રહ્યાં હતાં. વાજપેયીએ પોતાની વકૃત્વશૈલી અને આગવી વાકચાતુર્યતાને કારણે દેશ-દુનિયામાં શ્રોતાઓને પોતાનાં દિવાના બનાવ્યાં હતાં. તેઓની કાર્યશૈલી એટલી તો નિર્વિવાદ હતી કે તેમનાં વખાણ તેમના પક્ષનાં નેતા તો કરતા જ પરંતુ, વિપક્ષનાં સભ્યો પણ તેમને આદર આપતાં.
વાજપેયીનાં પ્રસંશકોની યાદીમાં દેશનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો પણ સમાવેશ થાય છે. વાજપેયી તમામ પક્ષો સાથે હળીમળીને રહેવામાં માનતા હતાં. તેઓ મોરારજી દેસાઈની કૅબિનેટમાં વિદેશ મંત્રી પણ રહી ચૂક્યાં હતાં. એ વખતે તેમની કૂટનીતિનાં ભારે વખાણ થયાં હતાં. ત્યાર બાદ વર્ષોની રાજકીય યાત્રા બાદ તેઓ દેશનાં પ્રધાનમંત્રી પણ બન્યાં હતાં. એટલે ભાજપનું શૂન્યમાંથી સર્જન કર્યું હતું અને તેમનાં પુરુષાર્થનાં કારણે જ આજે પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
માત્ર 25 વર્ષની ઉંમરે હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી બનનારા સુષમા સ્વરાજની રાજકીય સફર ખૂબ લાંબી રહી છે. સુષમાએ નાની ઉંમરમાં જ મોટા મુકામો હાંસલ કર્યા છે. તેઓ દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતાં અને ત્યાર બાદ વાજપેયી સરકારમાં પણ કેબિનેટમાં તેમને સ્થાન મળ્યું હતું. સુપ્રીમ કોર્ટનાં વકીલ રહી ચુકેલા સુષમાનો પરિવાર RSS સાથે જોડાયેલો હોવાંથી બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું. તેથી તેઓ 1970માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયાં અને ત્યાંથી તેમની રાજકીય સફર શરૂ થઈ.
1977માં સ્વરાજે જનતા પક્ષની ટિકિટ પરથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને 25 વર્ષની ઉંમરે હરિયાણાનાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં. 1984માં તેઓ ભાજપમાં સામેલ થયાં અને પક્ષ સચિવ બન્યાં. પક્ષમાં તેમની કામગીરીની કદર કરવામાં આવી અને ટૂંક સમયમાં જ તેમને પક્ષનાં મહાસચિવ બનાવાયાં. તેમની સફરમાં પડતીનો સમય પણ આવ્યો. વર્ષ 1980, 1984, 1989 અને 1990ની લોકસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. જો કે, ત્યાર બાદ અટલ સરકારમાં માહિતી પ્રસારણ મંત્રી બન્યાં. UPA સરકાર વખતે લોકસભમાં નેતા વિપક્ષ બન્યાં અને મોદી સરકાર એકમાં વિદેશમંત્રી તરીકે ઉત્તમ કામગીરી નિભાવી. પરંતુ 6 ઓગસ્ટ 2019નાં રોજ દેશે રાજનીતિનાં એક પ્રખર પંડિતને ગુમાવ્યાં.
સુષમાની સફરઃ
1977માં જનતા પક્ષની ટિકિટ પરથી હરિયાણામાં ચૂંટણી લડી
25 વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરમાં રાજ્યા કૅબિનેટ મંત્રી બન્યાં
1984માં તેઓ ભાજપમાં સામેલ થઈ પક્ષ સચિવ બન્યાં
ટૂંક સમયમાં જ તેમને પક્ષનાં મહાસચિવ બનાવાયાં
1980, 1984, 1989 અને 1990ની લોકસભાની ચૂંટણીમાં હાર થઈ
અટલ સરકારમાં માહિતી પ્રસારણ મંત્રી બન્યાં
UPA સરકાર વખતે લોકસભમાં નેતા વિપક્ષ બન્યાં
મોદી સરકાર-1માં વિદેશમંત્રી બન્યાં
પાર્ટીનાં સ્થાપક સભ્ય એવાં લાલકૃષ્ણ અડવાણીના માનિતા નેતાઓમાં જેમની ગણના થતી તેવા અનંત કુમારે મોદી સરકારમાં પણ મંત્રી પદને શોભાવિત કર્યું હતું. તેઓ બેંગ્લોરનાં દક્ષિણ વિસ્તારથી 1996માં લોકસભાનાં સભ્ય હતાં. 2014માં મોદી કૅબિનેટમાં કૅમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી બન્યા બાદ તેઓ પ્રધાનમંત્રી મોદીના પણ 'પ્રિય' બની ગયા હતાં. અનંત કુમાર કર્ણાટકનાં હોવાં છતાં હિંદી ભાષા સારી રીતે જાણતા હતાં જે રાજનીતિમાં તેમના માટે ફાયદાકારક રહ્યું હતું. અટલ સરકારનાં બીજા કાર્યકાળમાં તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને તેમની કામગીરીથી પ્રભાવિત થઈને મોદી સરકારમાં પણ મંત્રી પદ મળ્યું. મોદી સરકાર સત્તામાં આવ્યાનાં તરત જ બાદ તેમને ખેડૂતો સુધી સુનિશ્ચિત સમયમાં ખાતર પહોંચાડવાનું કામ કર્યું હતું. જેને લઈને તેમના વખાણ થયા હતાં.
બેંગ્લોરનાં દક્ષિણથી 1996માં લોકસભાના સભ્ય બન્યાં
2014માં મોદી કૅબિનેટમાં કૅમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી બન્યાં
અટલ સરકારમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
સાદગીપૂર્ણ જીવન અને પ્રામાણિક નેતા તરીકેની છાપ ધરાવતા મનોહર પર્રિકર પોતાની રાજકીય કુશળતાને કારણે ગોવા જેવા નાનકડા પ્રદેશમાંથી આવતા હોવા છતા દેશનાં રક્ષામંત્રી બન્યાં હતાં. મનોહર પાર્રિકર દુરદેશી નેતા હતાં. તેમણે વર્ષ 2013માં ગોવામાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની ઐતિહાસિક બેઠકમાં મોદીનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સમયે તેઓ ગોવાનાં મુખ્યમંત્રી હતાં. મોદીનાં નામનો પ્રસ્તાવ મુકીને તેમણે એક કાંકરે અનેક તીર માર્યા હતાં. મનોહર પર્રિકર કુશળ વહીવટ કરતા હોવાં ઉપરાંત ગોવામાં ભાજપનાં સંકટમોચક પણ હતાં. ગોવામાં બહુમતિ ન હોવા છતાં સરકાર બનાવવાનો મોકો મળ્યો ત્યારે ધારાસભ્યોની એક જ માંગ હતી કે પર્રિકરને CM બનાવવામાં આવે તો ટેકો આપીશું. આમ વિપક્ષનાં ધારાસભ્યો પણ પર્રિકરનાં નામ પર સહમતી સાધતા હતાં.
અરૂણ જેટલીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હતું. પણ તેમની ઈચ્છા પૂરી ન થતા 1987માં વકીલાતથી કારકીર્દીની શરૂઆત કરી. અભ્યાસ કાળથી જ રાજકારણમાં સક્રીય હોવાનાં કારણે તેમની વહીવટી કુશળતા પણ દઢ બનતી ગઈ. વીપી સિંહની સરકારમાં તેમને એડિશનલ સોલિસિટર જનરલ બનાવ્યાં હતાં. ત્યારે તેમણે બોફોર્સ સ્કેમના પેપર તૈયાર કરીને તમામનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
ત્યાર બાદ સારા રણનીતિકાર તરીકે ભાજપ માટે અનેકવિધ નિર્ણયો લેવામાં મદદરૂપ બનતા તેમને વાજપેયી સરકારમાં મંત્રીપદ મળ્યું. ત્યાર બાદ UPA સરકારમાં તેઓ રાજ્યસભામાં વિપક્ષનાં નેતા પણ રહ્યાં. 2014ની મોદી સરકારમાં જેટલીનું સ્થાન નંબર ટુ માનવામાં આવતું હતું. તેમનાં નાણાંમંત્રી તરીકેના કાર્યકાળમાં બે મોટા ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યાં. આમ મોટા નિર્ણયો લેવામાં અને રણનીતિ ઘડવામાં જેટલીની માસ્ટરી હતી. ત્યારે 24 ઓગસ્ટની બપોરે ભાજપે તેનાં રસ્તો કંડારનાર રણનીતિકારને ગુમાવ્યાં છે.